Friday June 20, 2025

માધવપુરના મેળા સાથે દ્વારકામાં 10 એપ્રિલે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫

       ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. આ કાર્યક્રમના અનુસંધાને ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજાઈ હતી.

          આ બેઠકમાં જિલ્લા કલેકટર તન્નાએ જણાવ્યું હતું કે, તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને જાન લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા. 10 ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા,ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

       કલેકટરએ આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, સ્વચ્છતા, આરોગ્ય સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, પ્રાંત અધિકારી અમોલ આવતે, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top