Friday June 20, 2025

મેરામણ હત્યા કાંડ : મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના પગથીયાની બાજુમાં લોહી-લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો

[ જિંદગી કી તલાશ મેં હમ, મોત કે કિતને પાસ આ ગયે !!!]

[જેની સામે 14 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હતા]

પોરબંદરના બખરલામાં હિસ્ટ્રીશીટર મેરામણ લંગીની હત્યા

બખરલાના સંજય દેવશી ઉર્ફે ભાણિયો અને અજાણ્યા શખ્સ સામે મેરામણના પત્ની મંજુબેને નોંધાવી ફરિયાદ

નિલેશભાઈનો ફોન આવતા તરત જઈને મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના પગથીયાની બાજુમાં લોહી-લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડેલ હતો

મેરામણની હત્યાના કારણમાં તેના પત્નીએ છ મહિના પહેલા આરોપી સંજયના મિત્ર સાથે થયેલી એક માથાકૂટ કારણભૂત ગણાવી પરંતુ પોલીસને મળી શકે છે અન્ય કારણો

પોરબંદર
પોરબંદર જિલ્લાના બખરલા ગામ ખાતે રવિવારની રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં અજાણ્યા વ્યક્તિઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી 53 વર્ષની ઉંમરના હિસ્ટ્રીશીટર મેરામણ લંગીની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. સંજય ઉર્ફે ભાણિયો અને અજાણ્યા વ્યક્તિ દ્વારા મેરામણ લંગીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી 108ને જાણ કરવામાં આવતા, 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. 108ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મેરામણ લંગીનું મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પોરબંદર રૂરલ ડીવાયએસપી સુરજીત મહેડુ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. બખરલાના સંજય દેવશી ઉર્ફે ભાણિયો અને અજાણ્યા શખ્સ સામે મેરામણના પત્ની મંજુબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, બનાવ રાત્રિના 8:30 વાગ્યા આસપાસ બનવા પામ્યો છે. કયા કારણોસર મેરામણ લંગીની હત્યા કરવામાં આવી છે? કોના દ્વારા કરવામાં આવી છે તે સંદર્ભે હાલ તપાસ ચાલી રહી છે. મેરામણ લંગી વિરુદ્ધ અગાઉ 14 જેટલા મર્ડર, મારામારી, ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેરામણ લંગી મુળુ મોઢવાડીયાની હત્યામાં પણ સામેલ હતો. તેમજ તે ભીમા દુલાનો ભાણેજ થતો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ કઈ રીતે બન્યો?

તા.૨/૨/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યાના સમયે મરનાર મેરામણ ઘરેથી ગામમાં બીડી લેવાનું કહી ગયેલ હતો. તે બાદ પોણા નવેક વાગ્યાના સમયે ગામના ચોકમાં આવેલ દુધની ડેરીવાળા નીલેષભાઇ નો મરનારના પત્નીના મોબાઇલ નંબરમાં ફોન આવેલ અને કહેલ કે,” તમારા ઘરવારા મેરામણભાઇ સાથે આપણા ગામના સંજય દેવશી ઉર્ફે ભાણીયો ઓડેદરા તથા તેમની સાથે એક ભાઇ એમ બંન્ને જપ્પા-જપ્પી કરી, ઝગડો કરે છે. ” તેમ વાત કરતાં મંજુબેન ફોનમાં વાત કરતી કરતી ઘરેથી ઉતાવળે ચાલતી ગામના ચોકમાં નીલેષભાઇની દુધની ડેરીના સામેના ભાગે આવેલ શંકર ભગવાનના મંદીરે પહોચેલ તો, મેરામણ શંકર ભગવાનના મંદીરના પગથીયાની બાજુમાં લોહી-લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડેલ હતો, અને ત્યાં સંજય ચાકુ સાથે તથા તેમની સાથેનો એક શખ્સ એમ બંન્ને મેરામણને ઘેરીને ઉભેલ હતા, આ સંજય તથા તેમની સાથેના ભાઇ મંજુબેનને જોઈને ભાગી ગયેલ તે બાદ ત્યાં હાજર ડેરીવાળા નીલેષભાઇ ને મંજુબેને ૧૦૮માં ફોન કરી તાત્કાલીક ૧૦૮ એમ્બુલન્સ બોલાવવાનું કહેતા તેણે ૧૦૮માં ફોન કરી દીધેલ. તે બાદ સગા-સંબધીઓને તથા કુટુંબીજનોને જાણ કરતાં તેઓ પણ ત્યાં પહોચી આવેલ. તે બાદ થોડીવારમાં ૧૦૮ એમ્બુલન્સ આવતા મેરામણને ૧૦૮ એમ્બ્યુલન્સ વાળાએ જોઇ-તપાસી મરણ જાહેર કરેલ.

છ મહિના પહેલા આરોપી સંજયના મિત્રના પિતા સાથે મારા પતિને માથાકૂટ થઈ હતી

આજથી આશરે છએક મહીના પહેલા સંજયના મિત્ર રમેશભાઇ દેવાભાઇ ખુંટીના પીતાજી સાથે મારા ઘરવાળાને બોલા-ચાલી થયેલ હોય, જેનુ મનદુખ રાખીને મારા ઘરવાળા સાથે આ સંજય અવાર-નવાર ગાળો બોલી ઝઘડો કરતો હતો. અને ગઇ કાલે રાત્રીના પોણા નવેક વાગ્યાના સમયે સંજયે તથા તેમની સાથેના ભાઇએ ચાકુ સાથળના ભાગે મારતાં ગભીર ઇજા થતાં મારો ઘરવાળો મરણ ગયેલ હોય જેથી, આ સંજય દેવશીભાઇ ઉર્ફે ભાણી યો. ઓડેદરા તથા તેમની સાથેના ભાઇ એમ બંન્ને વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે.

  • મંજુબેન મેરામણભાઇ લંગી, રહે બખરલા (ફરિયાદના શબ્દો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top