
પોરબંદર
યુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. એફઆઇઆરમાં નામજોગ દર્શાવાયેલા બંને આરોપીઓને કમલાબાગ પોલીસે ઝડપી લીધા છે અને આરોપીઓના મળતીયાઓને પકડવાના હજી બાકી છે. પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછ સાથે પોલીસની આગળની તપાસ ચાલુ છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સુનીલભાઇ સરમણભાઇ ગોરાણીયા, (ઉ.વ.૨૯, ધંધો-પ્રા.નોકરી, મુળ રહે. વાછોડા ગામ તા.જી.પોરબંદર હાલ રહે ધનલક્ષ્મી સોસાયટી શેરી નં 1, પોરબંદર)એ
(૧) મયુર રમેશભાઈ બારમેળા (રહે. દિગ્વીજય પ્લોટ અઠાવન જામનગર (૨) શ્યામલ રણછોડભાઈ પટેલ (રહે. ખોડીયાર કોલોની ઓરબીક હાઈટ્સ ક્રીસ્ટલ મોલની સામે જામનગર) તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરીયાદી સાથે ઠગાઈ કરવાના ઈરાદે ઓછી રકમમાં કન્સ્ટ્રકશનની જોબ માટે વિદેશ યુ.કે. જવાની જગ્યા આવેલ છે, જેમાં કોઇ ઇન્ટરવ્યુ લેવામાં અવાશે નહી, તેમ કહી ફરીયાદીને વિદેશ જવા માટે રૂા.૨૬,૫૦,૦૦૦/- માં વર્ક વિઝા કરાવી આપવાનો વિશ્વાસ અપાવી ફરીયાદી પાસેથી કટકે કટકે રૂા.૧૯,૮૦,૦૦૦/- જેટલી રકમ પડાવી લઈ, ફરીયાદી પાસે યુ.કે. હોમ ઓફીસ ખાતેથી ઈન્ટરવ્યુ લેવડાવી ફરીયાદીને યુ.કે. જવા માટેની કોઇ વિઝા નહી અપાવી, ફરીયાદીની વિઝા ફાઈલ કેન્સલ થયેલનું કહી, ફરીયાદીએ વિઝા કઢાવવા માટે આપેલ રકમ પરત આપવાનું કહેતાં ફરીયાદીને ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી. તા.૧/૫/૨૦૨૪થી આજદીન સુધીમાં પોરબંદર એમજીરોડ ઉપર આવેલ જીનેકસ્ટ ક્લાસીસ ખાતે બનેલી આ ઘટના અંગે 4 ફેબ્રુઆરીના રોજ ગુનો દાખલ થતા કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી દેસાઈએ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન કમલાબાગ થાણા અધિકારી પીઆઇ આરસી કાનમિયાએ કહ્યું કે આ ગુનાના નામજોગ દર્શાવાયેલા બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે અને આરોપીઓના અન્ય મળતીયાઓ પકડવાના બાકી છે. પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછતાછ સાથે તપાસ ચાલુ છે.