
માતૃ-પિતૃ વંદના,ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો
મુકેશ પંડિત, રેવા
રેવા સરકારી હાઈસ્કૂલમાં આ અનુપમ અને અદકેરાં કાર્યક્રમમાં ગામના વાલીઓને સંતાનો દ્વારા વંદના,પાય પ્રક્ષાલન અને આરતી ઉતારી પવિત્ર વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ અને પ્રેરક મૂલ્યોનું જતન કરવાના ઉમદા આશયથી ૧૪મી ફેબ્રુઆરીના દિવસને વિશિષ્ટ રીતે ઉજવી શિક્ષણ જગત માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું.
ધો.10ના વિદ્યાર્થીઓને જીવનમાં જ્વલંત સિદ્ધિઓ મેળવીને ગામ-શાળા અને માતાપિતાનું ગૌરવ વધારે એવી પ્રતિજ્ઞા સાથે આહલાદક વાતાવરણ વચ્ચે કરદેજના શિક્ષક રોહિતભાઈ ચૌહાણ દ્વારા મોટીવેશનલ વક્તવ્ય દ્વારા આ વિશિષ્ટ કાર્યક્રમમાં પ્રાણ પુરવામાં આવ્યા.
આ સમગ્ર કાર્યક્રમમાં હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા પરિવાર,શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો,રેવા ગ્રામ વિકાસ સમિતિ અને બહોળી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
શાળા એ સમાજનું આભૂષણ છે,સંસ્કારોની પાઠશાળા છે અને ભારતનું ભવિષ્ય વર્ગમાં ઘડાઈ રહ્યું છે એ નૈતિક જવાબદારીના વહન સાથે શાળાએ અનુકરણીય કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.