
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫
દેશના નાણામંત્રી દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં રૂપિયા 6303 કરોડના ખર્ચે દેશના 87 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના આઠ રેલવે સ્ટેશનનો પણ આ કરોડોની યોજનામાં સમાવેશ થયો છે. ત્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી મળેલી આ સફળતાથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
જે આઠ સ્ટેશનોનો અમૃત ભારત રેલવે સ્ટેશન વિકાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને મીઠાપુરનો સમાવેશ થયો છે. ઉપરાંત જામનગર જિલ્લાના જામજોધપુર, હાપા જંકશન, કાનાલુસ જંકશન તથા જામ વણથલી રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2023 માં સ્ટેશનોના પુનઃ વિકાસ માટે અમૃત ભારત રેલવે સ્ટેશનના યોજના શરૂ થઈ છે જે 24,470 કરોડથી વધુના ખર્ચની છે. આ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજનામાં સ્ટેશનના પુનઃ વિકાસમાં પ્રતીક્ષા વિસ્તારો, મફત વાઇફાઇ, લિફ્ટ તથા એસ્કેવેટર સુવિધા, સ્વચ્છતા, સ્થાનિક ઉત્પાદનો માટે કિયોસ્કની સ્થાપના, પેસેન્જર માહિતી પ્રણાલી, બિઝનેસ મીટીંગ જગ્યા, એક્ઝિક્યુટિવ લોન્જ વિગેરે સુવિધાનો સમાવેશ આ યોજનામાં થાય છે.
અગાઉ પણ હાલારના રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવા માટે સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી કરોડો રૂપિયા ફાળવાયા છે. ત્યારે નવી અમૃત ભારત યોજનામાં વધુ સ્ટેશનનો વિકાસ થશે.
(