– સંતવાણી, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ સહિતના આયોજનો –
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬
સુફી સંત શ્રી શંકરડાડાની 38 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી બુધવાર તા. 25 ફેબ્રુઆરીના રોજ ખંભાળિયામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય શંકરડાડાની પુણ્યતિથિના અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલા ઓફિસ સંત શ્રી શંકરડાડાની વાડી ખાતે બુધવારે યોજવામાં આવેલા કાર્યક્રમોમાં સાંજે 5 વાગ્યાથી રક્તદાન કેમ્પ તથા રાત્રે 9 વાગ્યાથી સંતવાણીના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેમાં જાણીતા કલાકારો, સાજીંદાઓ ભજન-ધૂનની રમઝટ બોલાવશે.
આ ઉપરાંત સાંજે મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સંતવાણીના કાર્યક્રમ દરમ્યાન થયેલી આવક ગૌસેવા માટે અર્પણ કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શંકરડાડાની પુણ્યતિથિ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા ડાડાને ચાદર ચડાવવામાં આવશે.

(ફોટો: કુંજન રાડિયા)
