Friday June 20, 2025

સ્વામિનારાયણના કહેવાતા સંતોની ભગવાન દ્વારકાધીશ તથા ગુગળી જ્ઞાતિ વિષે કથિત વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ

ગુગળી બ્રાહ્મણ યુવા ટીમ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ

ગુગળી બ્રાહ્મણ તથા અન્ય સમાજ દ્વારા સરઘસ કાઢી, આવેદન અપાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫

        સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગત મંદિરના પુજારી સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજીને ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

      સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી અવારનવાર થતી હોય અને ત્યાર બાદ ફક્ત માફી માગી અને જેમ મશ્કરી કરવામાં આવતી હોય, ત્યારે ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી અને વડતાલમાં રહે છે, તેમજ દ્વારકા જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો વિશે કહેવાતા અભદ્ર વાણી વિલાસ કરતા દ્વારકાના ગુગળી બ્રાહ્મણોમાં ખૂબ જ રોષ સાથે અસંતોષ વ્યાપ્યો હતો.

     આ બાબતે દ્વારકામાં સોમવારે બ્રહ્મપુરીમાં ખાસ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં આ વખતે સ્વામિનારાયણ પંથના વિવાદિત વક્તા સંતોને તે પંથમાંથી દૂર કરવામાં આવે તેમજ જે તેમના ધાર્મિક ગ્રંથોમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિશે અભદ્ર લખાણ લખવામાં આવ્યું છે, તેવા તમામ પુસ્તકોની હોળી કરી નાશ કરવામાં આવે તેવી માંગણી સાથે દ્વારકામાં ફક્ત ગુગળી બ્રાહ્મણો જ નહીં, પરંતુ અન્ય સમાજ દ્વારા પણ તેમને ટેકો આપવામાં આવ્યો છે.

     જે બાબતે આજે તમામ ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિંદુ સેના તથા અન્ય સમાજ દ્વારા સૌ પ્રથમ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી, આવેદન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં રાખી ત્યારબાદ જગત મંદિરથી સરઘસ રૂપે દ્વારકાના મુખ્ય માર્ગો ઉપર ફરી વળ્યા હતા. સ્વામિનારાયણ મંદિર સામે સૂત્રોચાર કર્યા બાદ તમામ લોકો દ્વારકાની પ્રાંત કચેરીએ પહોંચી, પ્રાંત અધિકારીને આ બાબતે જાણકારી આપી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહવાન કર્યું હતું.    

         અત્રે ઉલ્લેખનીય છે કે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના યુવા ટીમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકોએ ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે અભદ્ર ટીપણી કરી છે તે લોકો ને 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. અને આ 48 કલાકમાં તે લોકો દ્વારકા આવી દ્વારકાધીશના શરણે આવી પોતાના વચનો પરત લે અને હવે પછીના સમયમાં ક્યારેય પણ હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવો વિશ્વાસ આપે અન્યથા અહીં ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ પહોંચશે અને ત્યાં જઈ અભદ્ર ટીપણી કરનાર સંતોને પડકારવામાં અને લલકારવામાં આવશે તેવું જણાવ્યું હતું.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top