
– ઓવરબ્રિજ, મોડલ ફાયર સ્ટેશન, રસ્તાઓ સહિતના કામોનું ખાતમુહૂર્ત –
– શહેરીજનોની સવલતોમાં થશે વધારો –
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫
ખંભાળિયાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારના અંદાજિત રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીંના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તેના હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી વિકાસની હેલીઓ વરસી રહી છે. નાગરિકોનું દૈનિક જીવન સરળ બને તેને કેન્દ્ર સ્થાને રાખીને “ઈઝ ઓફ લિવિંગ”ની સંકલ્પના સાથે શહેરનો સર્વોત્તમ વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. જેની સાક્ષી ખંભાળિયા શહેર બન્યું છે. ખંભાળિયાના શહેરીજનોને રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પો ભેટ મળી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શહેરીજનોની સુખાકારીમાં ઉતરોતર પ્રગતિ થઈ રહી છે. મુખ્યમંત્રી શહેરીજનો તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. વડાપ્રધાનના “વિકાસ ભી વિરાસત ભી” ના મંત્રને આગળ ધપાવતા મુખ્યમંત્રી શહેરી વિકાસની સાથે ઐતિહાસિક સ્થળોના વિકાસની પરિકલ્પનાઓ પણ સાકાર કરવામાં આવી રહી છે.
વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં નાગરિકોને પાયાની સુવિધાઓ પાણી, આવાસ કે ભોજન માટે ઘણી તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનહિતલક્ષી યોજનાઓના પરિણામે નાગરિકોના જીવનને સામાન્યમાંથી સર્વોત્તમ બનાવવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો તે આજે ખરા અર્થમાં સાર્થક થતો જોવા મળી રહ્યો છે. શહેરને વિવિધ વિકાસ પ્રકલ્પો ભેટ મળતા શહેરીજનો જીવનધોરણમાં સરળતા આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રાજકોટ ઝોન પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ મહેશ જાનીએ જણાવ્યું હતું કે, શહેરના ઇતિહાસ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થવા જઈ રહ્યો છે. કુલ રૂ. 78 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોની ભેટ મળતા શહેરીજનોને મહાનગરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ખંભાળિયા શહેરમાં સરકારની વિવિધ યોજનાઓ લાભ મળે તેમજ સ્વચ્છતા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની બાબતમાં અગ્રેસર બને તેવો અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ખંભાળિયા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, એભાભાઈ કરમુર, પ્રતાપભાઈ પિંડારીયા, યુવરાજસિંહ વાઢેર, રસિક નકુમ, ભરત ચાવડા સહિત નગરપાલિકા સદસ્યો, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
– ખાતમુહૂર્ત કરાયેલ કામોની વિગત –
ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં રૂ. 29 કરોડના ખર્ચે જામનગર – ખંભાળિયા ફાટક પાસે ઓવરબ્રિજ, રૂ. 4.62 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન, રૂ. 10 કરોડના ખર્ચે શહેરમાં પંપ હાઉસ, પમ્પિંગ મશીનરી, આર.સી.સી. સંપનું કામ, રૂ. 29 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઘી તથા તેલી નદી બને બાજુ ડ્રેનેજ બોક્સનું કામ, રૂ. 50 લાખના ખર્ચે હિન્દુ સ્મશાન પાસે ચેક ડેમ રિપેરિંગ કામ, રૂ. 73 લાખથી વધુ રકમના ખર્ચે સલાયા રોડ હોસ્પિટલ પાસે આઇકોનિક રોડ બનાવવાનું કામ, રૂ. 88.59 લાખના ખર્ચે આઈ.ટી.આઈ. અને પોરબંદર રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ફૂટપાથ, વૃક્ષારોપણ સહિતનું કામ તેમજ રૂ. 1.67 કરોડના ખર્ચે સુમરા તરઘડી ખાતે આવેલ વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે એમ.આર.એફ. સેન્ટર બનવાના કામ, રૂ. 1.80 કરોડના ખર્ચે પ્રાર્થના હોલના નિર્માણનું કામ, રૂ. 80 લાખના ખર્ચે નગર ગેઈટથી મિલન ચાર રસ્તા સુધી સી.સી. રોડનું કામ સહિત કુલ 78 કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.





(ફોટો:- કુંજન રાડિયા)