
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫
યાત્રાધામ દ્વારકામાં છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરે આવતા યાત્રીકોને ધોમધખતા તાપ સામે રક્ષણ મળે તે હેતુ ઓવરહેડ શેડ – નેટ બાંધી છાંયડાની વ્યવસ્થા કરવા ન્યૂ વેપારી મંડળ દ્વારા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આગામી માળથી દ્વારકાધીશ મંદિરમાં પરંપરાગત રીતે ફૂલફોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે. ત્યારે યાત્રાળુઓનો પ્રવાહ ધીમે ધીમે દ્વારકા તરફ ફંટાશે. ત્યારે ફૂલફોલ ઉત્સવમાં આવતા યાત્રાળુઓમાં મહદ અંશે ગ્રામીણ વર્ગ હોવાથી પરંપરાગત રીતે ગોમતી નદીમાં સ્નાન બાદ છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી પ્રવેશીને જગતમંદિરમાં ઠાકોરજીના દર્શને આવતાં ભાવિકોને ધોમધખતા તાપ સામે રક્ષણ મળી રહે તે હેતુ છપ્પન સીડીથી સ્વર્ગ દ્વાર સુધી ઓવરહેડ શેડ અથવા તો નેટ બાંધી છાંયડાની વ્યવસ્થા માટે ન્યૂ વેપારી મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે.
– બેટમાં વીઆઈપી પાર્કિંગથી દ્વારકાધીશ મંદિર સુધી છાંયડો કરવા માંગ –
બેટ દ્વારકાધીશ મંદિરે પણ દરરોજ હજારો ભાવિકોની અવર-જવર હોવાથી વીઆઈપી પાર્કિંગથી દ્વારકાધીશ મંદિર સુધીના આશરે પચાસ મીટર જેટલા વિસ્તારમાં યાત્રિકોની ભીડને લીધે લાઈનો રહેતી હોવાથી ધોમધખતા તાપથી રક્ષણ મળે તે હેતુથી નેટ બાંધી, છાંયડાની વ્યવસ્થા કરવા પણ વેપારીઓ દ્વારકા દ્વારા માંગ કરવામાં આવી છે.
(ફોટો:- કુંજન રાડિયા)