
કુંજન રાડિયા,
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય વિજયનો શ્રેય આમ જનતા સાથે તેમના કાર્યકરોને પણ અપાઈ રહ્યો છે. વિજેતા ઉમેદવારોને અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન મેડમ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના કબજામાં રહેલી દ્વારકા નગરપાલિકામાં આ વખતે પણ ભાજપે નોંધપાત્ર મતો મેળવી અને ઐતિહાસિક કહી શકાય તેવી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સાત વોર્ડના ભાજપના તમામ 28 ઉમેદવારોએ વિજેતા થઈ, અને અનોખો રેકોર્ડ સર્જ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે જ દ્વારકા પાલિકાની ભાજપ તરફે 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. દ્વારકા પંથકમાં સરકાર દ્વારા અવિરત રીતે હાથ ધરવામાં આવી રહેલા વિકાસ કાર્યોને મત આપી લોકોએ આવકાર્યા છે.

– સલાયામાં કોંગ્રેસનું શાસન બરકરાર, પણ સીટો ઘટી –
વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકામાં આ વખતે પણ કોંગ્રેસે બહુમતી મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાનું રાજકારણ સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર બની ગયું હતું. કારણ કે અહીં ચૂંટણી લડવા માટે ભાજપને પૂરતા ઉમેદવારો પણ મળ્યા ન હતા. !! આટલું જ નહીં, ઓવૈસીની પાર્ટી એ.આઈ.એમ.એ.આઈ.ના ઉમેદવારો સાથે અહીં ચોપાંખિયો જંગ ખેલાયો હતો.
સલાયા પાલિકામાં ભાજપને એક પણ બેઠક મળી નથી. અગાઉ અહીં ભાજપના ચાર સભ્યો હતા. સલાયા પાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં રહેતા હિન્દુ પરિવારના મતો ભાજપના પરંપરાગત મનાય છે. પરંતુ આ વખતે અહીં પણ તમામ ચાર ઉમેદવારો આમ આદમી પાર્ટીના જ વિજેતા બન્યા છે. મત ગણતરીના પ્રારંભે આમ આદમી પાર્ટી તરફથી જોક જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા તમામ ત્રણ વોર્ડ પેનલ ટુ પેનલ કોંગ્રેસના ઉમેદવારો જીતતા આખરે 15 સીટ સાથે અહીં કોંગ્રેસનું પુનઃસ્થાપન થયું છે.
આમ આદમી પાર્ટીના મજબૂત મનાતા ઉમેદવાર સાલેમામદ કરીમ ભગાડને મતદાન પૂર્વે જેલની સજા થઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે “આપ” પણ અહીં મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને 13 સભ્યો “આપ”ના ચૂંટાયા છે. અને અહીં નવો રેકોર્ડ સર્જાયો છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં સલાયા સિવાય “આપ”ના એક પણ ઉમેદવાર ચૂંટાયા નથી.
90 ટકા મુસ્લિમ વસ્તીવાળા સલાયામાં ઓવૈસી પાર્ટી ચૂંટણી સમયે જ મેદાનમાં આવી હતી. જોકે તેને એક પણ સીટ મળી નથી. અહીં કોંગ્રેસે જીતનું જશ્ન મનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયામાં પુરુષો કરતાં સ્ત્રીઓનું મતદાન વધુ રહ્યું હતું.
– ભાણવડ પાલિકામાં પૂર્વ પ્રમુખ અને શહેર કોંગી પ્રમુખને ભાજપમાં લેવાનો પ્રયોગ સફળ –
ભાણવડની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે કુલ 24 પૈકી નોંધપાત્ર 21 બેઠકો મેળવીને અહીં પણ રેકોર્ડ સર્જ્યો છે. જેમાં ભાજપના એકાદ-બે પ્રયોગ દ્વારા આ સફળતા મળી હોવાનું કહેવાય છે.
ભાણવડ નગરપાલિકાની વર્ષ 2019 ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ જ બહુમતી સભ્યોથી વિજેતા બન્યો હતો. પરંતુ આંતરિક વિખવાદ સર્જાતા ચોક્કસ કારણો વચ્ચે કોંગ્રેસે તડજોડમાં સફળ થઈ અને સત્તા પર કબજો મેળવ્યો હતો. ત્યાર પછી સુપરસિડ થયેલી ભાણવડ નગરપાલિકાની યોજાઈ ગયેલી પેટા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કોંગ્રેસના 16 અને ભાજપના 8 સભ્યો જીત્યા હતા. આ પછી જિજ્ઞાબેન જોષી પાલિકાના પ્રમુખ બન્યા હતા.
આ સમયે ભાજપે સોગઠા ગોઠવી અને જીજ્ઞાબેન જોશીને તેમજ તેમના પતિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ જોશીને ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ભેળવી લેતા આ વખતે ભાજપને રેકોર્ડરૂપ જીત મેળવવામાં સફળતા મળી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ઉમેદવારની પસંદગી પણ જો સંપૂર્ણપણે દાવપેચપૂર્વક કરવામાં આવી હોત તો આ વખતે 21 ના બદલે તમામ 24 બેઠક ભાજપને મળે તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પૂર્વે જ ભાજપને 8 બિનહરીફ સીટો મળી હતી…
ભાણવડ નગરપાલિકામાં આગામી પ્રમુખ માટે સામાન્ય બિન અનામત છે. ત્યારે ભાજપ કોને પ્રમુખ તરીકે બેસાડશે તે અંગેની ચર્ચાઓ પણ તેજ બની છે. નગરપાલિકામાં સાત સદસ્યો સતવારા જ્ઞાતિના ચૂંટાયા છે. તેમાંથી છ ભાજપના છે. સાથે ત્રણ લોહાણા, ત્રણ હરિજન, ત્રણ મુસ્લિમ, બે રાજપુત, બે આહીર, એક પ્રજાપતિ, એક બ્રાહ્મણ, એક સગર અને એક પટેલ ઉમેદવાર વિજેતા થયા છે.





(ફોટો:- કુંજન રાડિયા)