Friday June 20, 2025

નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત

ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન

નારન બારૈયા, નવારતનપર
ગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આખરે પંચાયત દ્વારા કાર્યવાહીનો દૌર શરૂ થયો છે ત્યારે પંચાયત કચેરીના પરિસરમાં જ અને ગામના રસ્તામાં જ દબાણ કરીને પંચાયત કચેરીથી માત્ર 18.8 મીટર દૂર પાન-માવાની દુકાનના ઓઠાં હેઠળ દારૂની પ્રવૃત્તિ કરી રહેલા પ્રવીણ ઘેલા વાઘેલા અને પુત્રો કલ્પેશ, પ્રકાશ તથા મળતિયાઓના કારનામાઓનો પર્દાફાશ થયો છે ત્યારે નવા રતનપર ગ્રામ પંચાયતે પંચાયત પરિસરની આ જમીન ખાલી કરી દેવા નોટિસ પાઠવી છે. અને આ સાથે જ પ્રવીણ તથા તેના બે પુત્રો કલ્પેશ અને પ્રકાશ તથા મળતીયાઓ સામે વહીવટદાર એવા તલાટી કમ મંત્રીએ આપેલી ફરિયાદના અનુસંધાને ઘોઘા પોલીસે હજુ સુધી એફઆઇઆર કાર્યવાહી કરી નથી ત્યારે નવા રતનપર ગ્રામ પંચાયત વહીવટદાર દલસુખ જાનીએ ગઈકાલે ઘોઘા પોલીસમાં રૂબરૂ લેખિત રજૂઆત કરી નવારતનપરમાં દારૂનું વેચાણ અને બુટલેગરની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો સામે ફરજમાં રુકાવટ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા વધુ એક રજૂઆત કરી છે. પંચાયત દ્વારા દારૂ નિર્મૂલન અને દબાણ નિર્મૂલનની જે કાર્યવાહી થઈ રહી છે તે પરત્વે લોકો ખુલ્લા દિલથી રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રવીણના તમામ કારનામાઓનો પર્દાફાશ એવા સમયે થયો છે કે જ્યારે ગઇ તા 18 માર્ચના રોજ બપોરે પ્રવીણ તથા તેના બે પુત્રો અને મળતીયાઓએ બીજાની જમીન પોતાના નામે કરવા માટે વહીવટદાર દલસુખ જાની ઉપર દબાણ કરી ધમકીઓ આપી હતી તથા ફરજમાં રૂકાવટ કરી હતી. સંબંધિત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવા રતનપર ગામના પાદરમાં આવેલ પંચાયત કચેરી સામે દુકાન ધરાવતા અને દારૂના ધંધા માટે જાણીતા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો કલ્પેશ પ્રવીણ તથા પ્રકાશ પ્રવીણ અને તેમના સાગરિતોએ ગત મંગળવારે બપોરે 1:00 વાગ્યા પછી નવારતનપર પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, જીવા રણછોડની મકાનના પ્લોટની જમીન અમારા નામે કરી આપો નહિતર અમારી ઓળખાણ ખૂબ ઊંચે સુધી છે અને તમે અમારા ગામમાં કેમ નોકરી કરો તે અમે જોઈ લઈશું અને ઓફિસની બહાર નીકળો એટલે જાનથી મારી નાખશું એવી ધમકી આપી હતી. આ રીતે પંચાયત ઓફિસમાં હંગામો મચાવી પ્રવીણ ઘેલા અને તેના માણસોએ ઓફિસને બહારમાં લીધી હતી અને પંચાયતની કાર્યવાહીને ખોરંભે ચડાવી તલાટી મંત્રી એવમ વહીવટદાર દલસુખ જાનીનીની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે તલાટી મંત્રી દલસુખ જાનીએ પોલીસમાં પોતાની ફરિયાદ જાહેર કરી હતી. પરંતુ પોલીસ સાથે સેટિંગ કરવા માટે જાણીતા એવા પ્રવીણ અને તેના પુત્રો સહિતના મળતીયાઓ સામે હજુ સુધી એફઆઇઆર થઈ નથી ત્યારે વહીવટદાર દલસુખ જાની દ્વારા વધુ એક રજૂઆત કરવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે દારૂની પ્રવૃત્તિ કરતા અને ગુંડાગીરી કરતા પ્રવીણ તથા તેના પુત્રો અને મળતીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવે કારણ કે પ્રવીણ અને તેના પુત્રો દ્વારા પંચાયતની જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે. આ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની રજૂઆતની જાણ ભાવનગર એસપીને પણ કરવામાં આવી છે. જેનો સીધો મતલબ એ થયો છે કે હવે ગુંડાગીરી કરતા પ્રવીણ સામે કાયદેસરની કાર્યવાહી ઝળૂંબી રહી છે. અને આ સાથે જ પંચાયતે પ્રવિણને પંચાયત પરિસર માંથી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી છે અને તેમાં સાત દિવસની મહેતલ આપવામાં આવી છે.

પ્રવીણ વેરો પણ ભરે છે તો તેની દુકાન ગેરકાયદે કઈ રીતે?

સંબંધિત સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે કે પ્રવીણ પોતાની દુકાનનો કાયદેસરનો વેરો પણ પંચાયતને ભરે છે તો તેની દુકાન ગેરકાયદે કઈ રીતે હોઈ શકે? એવા સવાલ ના જવાબમાં તલાટી મંત્રી દલસુખ જાનીએ જણાવ્યું કે પંચાયત પરિસરમાં જે જગ્યાએ પ્રવીણની દુકાન આવેલી છે તે દુકાનમાં દારૂની પ્રવૃત્તિ થાય છે અને સામાજિક તત્વોના અડ્ડાઓ જામે છે જે સમગ્ર ગામ માટે ત્રાસદાયક છે તેથી પોતાની જમીન પંચાયત ખાલી કરાવી શકે છે અને બીજી તરફ તે ગામના સીધા રસ્તામાં છે. તેથી હાલના સંજોગોમાં તે એક દબાણ બનતું હોય પંચાયત તે દબાણ ખુલ્લું કરવા કાર્યવાહી કરશે અને તે માટે પંચાયતે પ્રવિણને નોટિસ પાઠવી છે. વહીવટદારના આ જવાબથી એમ સમજાવવા પામે છે કે જે રીતે શહેરોમાં રસ્તા ના વિકાસ માટે ખાનગી માલિકીની જમીન પણ કપાતમાં જાય છે તે રીતે દારૂથી જાણીતી આ દુકાનની જગ્યા પંચાયત ખાલી કરાવી શકે છે. વળી આ જગ્યાનો મૂળભૂત હક અને કબજો ગ્રામ પંચાયતનો છે તેથી આ કાર્યવાહીમાં પ્રવીણ સીધી રીતે દુકાન નહીં હટાવે તો પંચાયત ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105 મુજબ કાર્યવાહી કરશે તેમજ તંત્ર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરશે.

પંચાયત શા માટે દારૂ માટે જાણીતી દુકાન હટાવવા કડક બની છે?

વર્ષોથી દારૂડિયાઓના અડ્ડાઓ જમાવતી પ્રવીણની દુકાન ગ્રામ પંચાયત કચેરીના પરિસરમાં આવેલી છે અને કચેરીથી માત્ર 18.8 મીટર દૂર આવેલી છે. સામાન્ય રીતે શિક્ષણના સ્થળોથી અને હોસ્પિટલ જેવા સ્થળોથી 100 મીટરના દાયરામાં તમાકુ વેચવાની પણ મનાઈ હોય છે તેવા સંજોગોમાં ગુજરાતભરમાં પ્રતિબંધિત એવો દારૂ પંચાયત કચેરીથી માત્ર 45 ડગલાં ચાલવાથી પ્રાપ્ત થતા સ્થળે પ્રાપ્ત થતો હોય તો તે પંચાયત માટે ઘોર બદનામીનો વિષય ગણાય. એટલું જ નહીં તે પંચાયતનું અને સરકારનું અપમાન ગણાય. આ સ્થિતિમાં પંચાયત માટે આ મામલો નાકનો સવાલ બની રહે છે. પંચાયત આ કાર્યવાહી ન કરે તો પંચાયત પોતે જ ભ્રષ્ટ ગણાય. અને તેથી પંચાયતની આ કાર્યવાહીનું લોકો પણ ખુલ્લા દિલથી સમર્થન કરી રહ્યા છે. ફક્ત દારૂડિયાઓ જ પ્રવીણની આ દુકાન સલામત રહે તેમ ઇચ્છી રહ્યા છે. છેલ્લા 20થી 25 વર્ષમાં જેમણે પોતાના પુત્ર, પતિ, ભાઇ કે પિતાની જીંદગી દારુને કારણે બરબાદ થતી જોઈ છે એવા લોકો પંચાયત દ્વારા પ્રવીણની દારુલીલા બંધ કરાવાય તેમાં રાજી રાજી છે. જાણવા મળતી વિગતો અનુસાર પંચાયત દ્વારા જ્યારથી કાર્યવાહી શરૂ થઈ છે અને જો તરફથી અવાજ ઉઠી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી પ્રવિણે દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણ બંધ કરી દીધી છે કારણ કે હવે માત્ર ઘોઘા પોલીસ જ નહીં એલસીબી, એસઓજી કે આરઆરસેલ પણ ગમે ત્યારે આપી શકે છે તેની તેને ખબર છે. ના, પ્રવીણ એવડો મોટો બુટલેગર પણ નથી કે સ્ટેટ મોનિટરિંગ સેલને નવા રતનપરના મહેમાન બનવાનું મન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top