કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ
કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.
અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે
પોરબંદર
કોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ છે તેમ છતાં વર્ષોથી ચાલી રહ્યું છે તેમ પોલીસ વરલી મટકાના જુગારમાં સિંગલ વ્યક્તિને પકડે છે તેવા વિચિત્ર સિલસિલામાં પોરબંદર એલસીબીએ કુતિયાણામાંથી એક જણને વરલી મટકાના આંકડા ચિઠ્ઠી વગેરે સાથે ઝડપી પાડ્યો હતો. અમિત રુપારેલીયા એનું નામ છે. તે પોલીસને પોતાના વરલી મટકા નેટવર્ક અંગે કશું જ નહીં બતાવવામાં સફળ રહ્યો હતો. તેની અડગતા અંગે જુગાર બેડામાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યા છે અને પોલીસ બેડામાં છાને ખૂણે અમુક પ્રકારની હાહાહીહી થઈ રહી છે. પોરબંદર પોલીસ સિનેમા ઘરોમાં સામાન્ય બબાલ કરનારા સામે ત્રાસવાદીઓની સાથે થતી હોય તેવી હરકતો કરે છે. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે.
પોલીસે જણાવ્યું કે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા અને વધુમા વધુ કેસો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એએસઆઇ મુકેશ માવદીયા, હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને મળેલ હકીકત આધારે, કુતિયાણા ગામ કસ્ટમ ચોક શ્યામ મોબાઇલ સામે જાહેરમાં વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમતા અમીત અતુલભાઇ રૂપારેલીયા (ઉ.વ.૨૯ રહે કુતિયાણા ભાદરજાપા જલારામ મંદિર પાસે) પાસેથી વરલી મટકાના આકડા લખેલ પોકેટ ડાયરી નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ તથા બોલપેન નંગ-૧ કિ.રૂા.૦૦/૦૦ તથા રોકડા રૂા. ૧૦,૧૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને કુતીયાણા પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં જમાદાર, રાજેન્દ્ર જોષી, રણજીત દયાતર, ગોવિંદ મકવાણા, ઉદયભ વરૂ, સલીમ પઠાણ, ઉપેન્દ્ર જાડેજા, કુલદીપ જાડેજા, લક્ષ્મણ ઓડેદરા, જીતુ દાસા તથા જમાદાર નાથીબેન કુછડીયા તથા કોન્સ્ટેબલ વિરેન્દ્ર પરમાર, અજય ચૌહાણ તથા ડ્રાપીસી રોહીત વસાવા વિગેરે રોકાયેલ હતા. આમ પોલીસે એ પણ કબૂલ કર્યું હતું કે માત્ર એક જણને પકડવામાં દોઢ ડજન જેટલા લોકો રોકાયા હતા. જો પોલીસ આવા સામાન્ય ગુનામાં આટલી મોટી સંખ્યામાં સમય ફાળવતી હોય તો પછી હાર્ડકોર ક્રાઈમને ડામવામાં ક્યાંથી સમય આપી શકે? અને વળી આટલી મોટી ટીમ આરોપી પાસેથી એ વિગત નથી કઢાવી શકે કે તે કોની સાથે વરલી મટકાની બાજુ માંડીને બેઠો હતો. જેનું કામ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈને થાણા અધિકારી ઊંઘતા ઝડપાતા હોય તેવી સ્ટાઇલમાં કેસ ઠપકારીને એન્ટ્રી મારવાનું છે એવી એલસીબીએ આ કેસ ઠપકારીને તેની તપાસ કુતિયાણા થાણા અધિકારી પીએસઆઇ એન કે ઠાકરિયાના હાથમાં પકડાવી દીધી છે. પીએસઆઇ એન કે ઠાકરિયા પોતાની કાર્યદક્ષતા માટે જાણીતા છે પરંતુ આવા ગંભીર કેસની તપાસ માટે અને સમગ્ર વરલી માયાજાળ ફેંદવા માટે એક બહુ જ મોટી ટીમની જરૂર પડે તેવી સ્થિતિ હોય છે ત્યારે આ તપાસમાં પોલીસ કઈ રીતે આગળ વધે છે તે બાબત પર સૌની મીટ પંડાયેલી છે.
ફક્ત ભોળા એસપી ભગીરથસિંહ જાડેજાને જ ખબર નથી
કુતિયાણામાં વર્ષોથી પોલીસ એકલા એકલા રમી રહેલા વરલી મટકારા બાજીગરોને પકડે છે પણ આટલા વર્ષોમાં સાવ ભોળી પોલીસને આરોપી કોની સાથે રમે છે તેની ખબર જ નથી પડતી. પોલીસને આ ભોળપણ સદી ગયું છે કે નાટક ફાવી ગયું છે તે અંગે કશું નક્કી જ થઈ શકતું નથી.
અને આમ જુઓ તો આવા કેસોમાં પોલીસ શું કરે છે તેની બધાને ખબર જ છે ફક્ત ભોળા એસપી ભગીરથસિંહ જાડેજાને ખબર નથી એમ માનવામાં આવી રહ્યું છે.
જવાબમાં લલપત અને તતપપ સિવાય કશું ન મળે
વરલી મટકાના પોલીસ કેસોમાં પોલીસ ક્યાંક ને ક્યાંક સેટિંગ/સમાધાન કરીને અટકી જાય છે નહીંતર વરલી મટકાનું નેટવર્ક છેક મુંબઈ સુધી પહોંચી શકે. પોલીસે એ આત્મમ મંથન કરવાની જરૂર છે કે જુગારના દાખલ થતા કેસ કેટલા અને તેમાં આરોપીને સજા થઈ હોય એવા કેસ કેટલા? જવાબમાં લલપત અને તતપપ સિવાય કશું જ મળે તેમ નથી.
