Saturday June 21, 2025

પહેલી ધારની વાત – નારન બારૈયા – જુગારધારા માંગે સુધારા

[ કોઈ હારવા કે જીતવા વાળું તો જોઈએ તે છતાં… ]

કોઈ માણસ એકલો એકલો જુગાર કઈ રીતે રમી શકે?

જવાબ નં.1 : પોલીસ આરોપીને રમાડે છે…

જવાબ નં. 2 : આરોપી પોલીસને રમાડે છે…

જવાબ નં. 3 : આરોપી-પોલીસ બધાને રમાડે છે

જવાબ નં. 18 : તપાસ દરમિયાન પોલીસ કોઈ એક લેવલ પર આવીને સેટિંગ કરી નાખે છે અથવા કરવું પડે છે

જવાબ નં. 1000 : જુગાર ધારામાં હજાર જાતના સુધારા કરવાની જરૂર છે

પોલીસ વર્ષોથી આ કરે છે. જુગારધારાની કલમ 12 અ મુજબ કોઈ એક જ વ્યક્તિને જુગાર રમતા રમતા પકડી પાડે અને તેના હાથમાંથી જુગારનું સાહિત્ય એટલે કે મટકાના આંકડાઓ લખેલી ચીઠી પકડાય તેની પાસેથી 00 રૂપિયાની કિંમતની ગણેલી એક બોલપેન પણ પકડાય અને તે એક જ વ્યક્તિ સામે ગુનો દાખલ થાય. વોટ ઇઝ રબિશ? આમાં કોઈ તર્ક જ નથી. વળી ફરિયાદમાં એવું પણ લખવામાં આવે કે આરોપીએ વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમાડતા વરલી મટકાનાં આંકડાઓ લખેલ ચીઠ્ઠી નંગ-૧ કી.રૂ.૦૦/૦૦ તથા બોલપેન નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂા.૧૦,૭૭૦/- ના મુદામાલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ ગયો હતો. પણ તે કોની સાથે રમાડતા કે રમતા એવો કોઈ ઉલ્લેખ જ નહીં !!!
જુગારમાં હારજીતનું તત્વ રહેલું હોય છે અને હારજિત વગર તેને જુગાર જ કહી શકાતો નથી તેથી પકડાયેલ એક વ્યક્તિ કોની સાથે જુગાર રમતો હતો તે જ્યાં સુધી સાબિત ન થઈ શકે ત્યાં સુધી તે ઘટના જુગારની વ્યાખ્યામાં આવી શકે નહીં. તેથી જો આ પ્રકારે એક જ વ્યક્તિ અંગે પોલીસને જાણ મળી હોય તો બીજા આરોપી અથવા આરોપીઓના નામ અન્ય વ્યક્તિઓ તરીકે દર્શાવીને તેને તપાસના કામે સામેલ કરવાની તૈયારી સાથે ગુણો દાખલ કરવો જોઈએ. વરલી મટકા માં વર્ષોથી આ પ્રકારે એક જ વ્યક્તિ સામે ગુના દાખલ થાય છે.
તો કાનૂની જોગવાઈમાં કશુંક ખૂટતું હોય તો તેની પૂર્તિ કરીને કાનૂન બદલવાનો પ્રસ્તાવ પણ મુકાવો જોઈએ. આઇપીસી માંઆ સુધારા કરીને તેને ભારતીય ન્યાય સંહિતા બનાવવામાં આવી છે તે જ રીતે જુધ કલમમાં સુધારાની પણ જરૂર છે. આરોપી આંકડા લખેલ ચિઠ્ઠી સાથે ઝડપાયો હોય તો તે આંકડાનો વ્યવહાર વહીવટ ચલાવનાર પણ કોઈ વ્યક્તિ હોઈ શકે. અને તેની કબુલાત પણ આરોપી પાસેથી મળી શકે. આરોપી કબુલાત આપતો ન હોય તો તેની નોંધ અજાણી વ્યક્તિ તરીકે કરીને પણ તેમાં અન્ય આરોપી અથવા આરોપીઓની સામેલગીરી ની સંભાવના દર્શાવીને એફઆઇઆર કરવી જોઈએ પરંતુ પોલીસ દ્વારા સામાન્ય રીતે આમ કરવામાં આવતું નથી. અગાઉ પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાઈ તો પણ એક જ વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને જય હિન્દ જય ભારત કરીને સમરી ભરી દેવામાં આવતી હતી. પરંતુ હવે પોલીસ દારૂનો જથ્થો પૂરો પાડનાર વ્યક્તિ અથવા તો દારૂ મંગાવનાર વ્યક્તિને પણ આરોપી તરીકે સામેલ કરતી થઈ છે તે જ પ્રકારે વરલી મટકાની વર્ષોથી ચાલી આવતી ગુનો દાખલ કરવાની પરંપરામાં પણ સુધારો થઈ શકે. જ્યાં સુધી જુગારમાં બીજી વ્યક્તિ સાથે નું કનેક્શન સાબિત ન થાય ત્યાં સુધી તેને તમે વરલી મટકાનો અથવા કોઈ પણ પ્રકારના મટકાનો જુગાર કઈ રીતે કહી શકો? એક વ્યક્તિ અમુક પ્રકારના આંકડા અમથે અમથા એકલો એકલો લખીને બેઠો હોય અને પોલીસ આવીને એને પકડી લે તો તે પણ એક અન્યાય છે. એટલે કોઈ વ્યક્તિને અન્યાય પણ ન થવો જોઈએ. પોતાની કામગીરી દર્શાવવાના હેતુથી પોલીસ આ પ્રકારના આડેધડ કાચા કેસો કરે રાખે છે તેના કારણે એક હકીકત એ પણ છે કે દારૂ જુગારના મોટાભાગના કેસ અદાલતમાં સાબિત થતા નથી અને આરોપીઓ છૂટી જાય છે. આમાં ક્યાંક કશુક ખૂટે છે. ખાસ કરીને વરલી મટકાના કેસોમાં કશું ખૂટે છે. આ શું ખૂટે છે એનો પૂરતો અભ્યાસ પોલીસના ઉપરી અધિકારીઓએ કરીને કાનૂની જોગવાઈમાં સુધારો કરવાની પ્રપોઝલ ખુદ પોલીસના ઉપરી અધિકારીઓએ જ સરકારને મોકલવી જોઈએ. ગૃહ ખાતાએ ગૃહમાં એટલે કે ઘરમાં બેસીને વાતોના વડા કરવાને બદલે ફિલ્ડમાં કામ કરતી પોલીસ કઈ બાબતમાં શું કેમ કરે છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. ટૂંકમાં કહીએ તો જુગાર ધારો પણ ઇન્ડિયન પીનલ કોડની જેમ જ કેટલાક સુધારાઓ માંગી રહ્યો છે.
જુગારધારાના આવા કેસોમાં, રિટાયર્ડ ડીવાયએસપી એન. બી. જાડેજા કે જેમણે આપેલા સમાચાર વર્ષોથી અમે છાપતા રહ્યા, અને એ પણ કોઈ જ સવાલ વગર કે શા માટે કોઈ વ્યક્તિ એકલો એકલો જુગાર રમતો હોઈ શકે? એમને અમે પૂછ્યું કે તે કોની સાથે જુગાર રમી રહ્યો હતો તેનું નામ ખૂલે નહીં અથવા તો તેનો કોઈ આધાર ન મળે તો પણ એક વ્યક્તિ સામે પોલીસ કેવી રીતે કેસ ચલાવી શકે? તમારા સમયમાં પોલીસ એક સમયે દારૂના જથ્થા સાથે પકડાય તો બસ એ એક જ વ્યક્તિ સામે ગુનો દાખલ થતો હતો અને તે વ્યક્તિ કોની પાસેથી દારૂ લાવ્યો હતો અથવા તો કોને આપવા જઈ રહ્યો હતો તેવા સવાલો થતા હોવા છતાં પોલીસ તેમાં ઊંડી ઉતરતી નહોતી અને હવે પોલીસ દારૂ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જતો હતો તે વાત આરોપી પાસે ખોલાવીને તે બંને ઉત્તર દક્ષિણ દિશાના આરોપીઓને પકડ્યા વગર તત્કાલે એફઆઇઆર નોંધણી ને તેમને પકડવાની કોશિશ પણ કરે છે. તો તમારા સમયમાં પોલીસ એવું શા માટે કરતી નહોતી અને આજના સમયમાં પોલીસ દારૂના કેસમાં શા માટે ઊંડી ઉતરી શકે છે? અને હવે આજની પોલીસ જુગારધારામાં પણ એકલા એકલા રમી રહેલા આરોપીને પકડવાની બદલે તેમાં ઊંડા ઊતરીને તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે આખી ગેંગ ને શા માટે પકડતી નથી? આ સવાલને લઈને રિટાયર્ડ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજા એટલે કે એન બી જાડેજા એ કહ્યું કે અમારા સમયમાં દારૂના કેસમાં આટલા ઊંડા ઉતરવા અંગેનો પરિપત્ર નહોતો અને હવે છેલ્લા ઘણા સમયથી ગૃહ ખાતા તરફથી દારૂના કેસમાં સંપૂર્ણ રીતે ઊંડા ઊતરવું એવો પરિપત્ર હતો તેના કારણે આજની પોલીસ દારૂના કેસમાં વધુને વધુ ઊંડા ઉતરીને તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે જે સારી વાત છે. એ જ રીતે જુગાર ધારામાં પણ એવું જ છે પોલીસ ધારે તો એકલા એકલા રમી રહેલા વરલી મટકાના આરોપીને બુદ્ધિપૂર્વકની પૂછપરછ કરીને તે કોની સાથે રમી રહ્યો હતો તે પણ પકડી શકે અને ક્રમશઃ તેના મૂળ સુધી ઊંડા ઊતરીને આખી ગેંગને પકડી શકે પરંતુ હજી જુગારધારાની કાર્યવાહી અંગે ગૃહ ખાતાનો એવો કોઈ પરિપત્ર નથી કે એવી કોઈ સૂચના કે ગાઈડ લાઈન નથી. નહિતર વરલી મટકાનું નેટવર્ક સ્થાપના કચ્છનો એક ખત્રી નામનો એક શખ્સ હતો. તેનું નેટવર્ક મુંબઈના કલ્યાણ મટકા સુધી વિસ્તરેલું છે અને હાલમાં પણ તેના જુગારી વારસદારો આ નેટવર્ક ચલાવી રહ્યા છે. પોલીસ ધારે તો આજે પણ તે સંપૂર્ણ નેટવર્ક નો પડદાફાશ કરી શકે પરંતુ આ પ્રકારની ગાઈડલાઈન અને ઈચ્છા શક્તિનો હજી પણ અભાવ છે કમસેકમ આ અંગે એક પરિપત્ર થાય તો વરલી મટકાનું રાજ્ય વ્યાપી અને બહુરાજ્ય નેટવર્ક આસાનીથી ઝડપાઈ શકે. બીજા કેટલાક અધિકારીઓએ પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું કે કલ્યાણ મટકા નું નેટવર્ક એટલું બધું મજબૂત છે કે તંત્રના વિવિધ સ્થાનો પર તેમના તોતિંગ હપ્તાઓ નિયમિત મળી જાય છે અને પોલીસને પણ જ્યારે જ્યારે દબાવવાની જરૂર પડે ત્યારે તેના લાગુ પડતા અધિકારીઓને અને જરૂર પડે તો કર્મચારીઓને એમને જે કંઈ વિટામિન એમનો જથ્થો જોઈએ તે મળી જાય છે. પરિણામે પોલીસ આવા એકલા એકલા રમી રહેલા વરલી મટકાકારોને ઝડપીને કામગીરી બતાવવા પૂરતો સંતોષ માણી લે છે. આ વિષય એટલો બધો ઊંડો છે કે કેટલાક નિવૃત્ત અને કેટલાક પ્રવૃત્તિ પોલીસ અધિકારીઓએ મુંબઈના કલ્યાણ મટકા નેટવર્ક અને અન્ય નેટવર્ક અંગે જે માહિતી આપી છે તેમાં પોલીસના હપ્તા તંત્ર તરફ સીધી આંગળી ચીંધાઈ રહી છે. પરંતુ ક્યાંય કોઈ રંગે હાથ ન પકડી શકે તેવું હપ્તા તંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે પરિણામે જુગારધારો મટકા તંત્રને મૂળમાંથી ઉખેડી શકતો નથી.
આશ્ચર્ય વચ્ચે અમે પોરબંદર જિલ્લા એસપી ભગીરથ સિંહ જાડેજા સમક્ષ આ સવાલ રાખ્યો કે શા માટે જુગાર રમવા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિની જરૂર પડતી હોવા છતાં અને મટકાનું તો આખું રાજ્ય વ્યાપી અને અન્ય રાજ્યો સુધી વિસ્તરેલું નેટવર્ક હોય છે તેમ છતાં પોલીસ શા માટે સિંગલ જુગારીને ઝડપીને સંતોષ માને છે અને તેમાં ઊંડા ઉતરતી નથી? તો એસપી ભગીરથ સિંહ જાડેજાએ કહ્યું કે એવું તો કંઈ નથી. કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર ન હોય તો પણ પોલીસને વરલી મટકાના કેસમાં પણ જ્યાં સુધી ઊંડા ઊતરી શકાય ત્યાં સુધી અને તેના મૂળ સુધી પહોંચવા માટેનો પાવર પણ છે અને પોરબંદર પોલીસ તો આ માટેના પ્રયત્નો પણ કરી રહી છે પરંતુ કેટલીક વાર પકડાયેલ આરોપી એટલો બધો લીધો હોય છે કે તે સાથી આરોપીઓના નામ કબુલ કરતો નથી કે બતાવતો નથી તેના કારણે હાલ પૂરતી એક આરોપી સામે એફઆઇઆર કરવી પડે છે પરંતુ એક આરોપી સામે એફઆઇઆર થઈ છે એનો મતલબ એ નથી કે તે સિંગલ આરોપી સામે ગુનો દાખલ કરીને પોલીસ બેસી રહેશે. એફઆઇઆર થયા પછી પણ પોલીસ આરોપીને પકડીને તેની પૂછપરછ કરે છે અને તેના મૂળ સુધી ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરે છે અને બીજા આરોપીઓ ને પકડે પણ છે. વરલી મટકાના કેસોમાં પોલીસ વધુને વધુ ઊંડા ઉતરવાનો હંમેશા પ્રયત્ન કરે જ છે. પરંતુ રીઢા આરોપીઓના કારણે ક્યારેક તપાસ વધુ પડતી આગળ ન વધી શકે તે એક અલગ વાત છે.
આપણે એસપી ભગીરથ સિંહ જાડેજાની વાત માની લઈએ કે પોલીસ એકલા આરોપીને જુગાર અને તેમાં પણ ખાસ કરીને વરલી મટકાના જુગારમાં ઝડપીને પોલીસ તેના નેટવર્ક ને ફેંદવાનો અને ભેદવાનો પ્રયત્ન કરે છે. પોલીસની દાનત ખોટી નથી એમ પણ માની લઈએ. પરંતુ પોલીસે અત્યાર સુધી એક આરોપી સામે એફઆઇઆર કર્યા પછી તેના મૂળ સુધી પહોંચીને આખે આખા વરલી મટકા નેટવર્કને ઉઘાડું પાડવાનો દાખલો બેસાડ્યો હોય તેઓ એક પણ કેસ જાહેરમાં કેમ નથી આવતો. ક્યાંક તો કશુક ખૂટે છે. નહિતર કોઈપણ જિલ્લાની પોલીસ વરલી મટકામાં ઊંડી ઉતરે તો પોતાના પોલીસ સ્ટેશનથી લઈને પોતાના જિલ્લા સુધી અને અન્ય જિલ્લાઓમાં કચ્છથી લઈને અમદાવાદ સુરત વડોદરા કે મુંબઈ સુધીનું “કલ્યાણ” કરી શકાય તેમ છે. પરંતુ કલ્યાણ મટકાનું નેટવર્ક આજ સુધી કોઈ પોલીસ સંપૂર્ણપણે ભેદી શકી નથી. આ પડકારને લઈને પોલીસ કરમાવા તૈયાર છે અને શરમાવા પણ તૈયાર છે પરંતુ સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તૈયાર નથી.
thegreatworld.in

“પોલીસ વરલી મટકાના કેસમાં વધુને વધુ ઊંડી ઉતરે છે, ઉતરશે”: એસપી જાડેજા

“એવું તો કંઈ નથી. કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર ન હોય તો પણ પોલીસને વરલી મટકાના કેસમાં પણ જ્યાં સુધી ઊંડા ઊતરી શકાય ત્યાં સુધી અને તેના મૂળ સુધી પહોંચવા માટેનો પાવર પણ છે અને પોરબંદર પોલીસ તો આ માટેના પ્રયત્નો પણ કરી રહી છે પરંતુ કેટલીક વાર પકડાયેલ આરોપી એટલો બધો લીધો હોય છે કે તે સાથી આરોપીઓના નામ કબુલ કરતો નથી કે બતાવતો નથી તેના કારણે હાલ પૂરતી એક આરોપી સામે એફઆઇઆર કરવી પડે છે પરંતુ એક આરોપી સામે એફઆઇઆર થઈ છે એનો મતલબ એ નથી કે તે સિંગલ આરોપી સામે ગુનો દાખલ કરીને પોલીસ બેસી રહેશે. એફઆઇઆર થયા પછી પણ પોલીસ આરોપીને પકડીને તેની પૂછપરછ કરે છે અને તેના મૂળ સુધી ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરે છે અને બીજા આરોપીઓ ને પકડે પણ છે. વરલી મટકાના કેસોમાં પોલીસ વધુને વધુ ઊંડા ઉતરવાનો હંમેશા પ્રયત્ન કરે જ છે. પરંતુ રીઢા આરોપીઓના કારણે ક્યારેક તપાસ વધુ પડતી આગળ ન વધી શકે તે એક અલગ વાત છે.”

– ભગીરથસિંહ જાડેજા, એસપી, પોરબંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top