Headlines

પોરબંદરના લોહાણા સમાજમાં ચકચારી બનેલા ખૂન કેસમાં આરોપી જગદીશભાઈ રાયચુરાને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન મુક્ત કરાયા


ઘરના ઝઘડા અને આકસ્મિક મૃત્યુના આ કેસમાં જિલ્લા ન્યાયાધીશ સમક્ષ વકીલો દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને ધ્યાને રાખીને મહત્વનો ન્યાયિક નિર્ણય લેવાયો છે

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર

પોરબંદર શહેરમાં લોહાણા સમાજની અંદર અત્યંત ચકચારી બનેલા એક ખૂન કેસના મામલામાં ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પોરબંદરના બીરલા હોલની પાછળ આવેલા અપાર્ટમેન્ટમાં રહેતા હીત પોપટ દ્વારા કમલાબાગ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે હીત પોપટની સગાઈ હેતાંશી સાથે થયેલી હતી. અગાઉ બંને પ્રેમસંબંધમાં હતા અને ત્યારબાદ બંને પરિવારની સંમતિથી સગાઈની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ બંને વચ્ચે કોઈ અંગત બાબતે અણબનાવ સર્જાયો હતો. આ અણબનાવના કારણે હેતાંશી તેમજ તેની માતા અને તેના પિતા જગદીશભાઈ રાયચુરા ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ગાળા-ગાળી જેવું વાતાવરણ સર્જાયું હતું. તે જ સમયે ફરિયાદીની બહેન વૃંદા કે જે જૂનાગઢ સાસરે રહે છે અને પરસોતમ નિમિત્તે માવતરે આવેલી હતી, તે પણ ત્યાં હાજર હતી. દરમિયાન બોલાચાલીના માહોલમાં આરોપીઓ દ્વારા ધક્કો વાગવાના કારણે વૃંદા પડી ગઈ હતી અને નજીકમાં રહેલા કબાટ સાથે અથડાવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હોવાની વિગતવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ગંભીર ગુનાના અનુસંધાને આરોપી જગદીશભાઈ રાયચુરા વતી પોરબંદરના જાણીતા વકીલ ભરતભાઈ લાખાણી દ્વારા જેલમાંથી જ જામીન મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે વકીલ ભરતભાઈ લાખાણીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સમગ્ર ફરિયાદમાં ક્યાંય પણ હાલના આરોપી દ્વારા ગુજરનારને કોઈ પણ પ્રકારે માર મારવામાં આવ્યો હોય તેવી કોઈ હકીકત કે બાબત ફલિત થતી નથી. વધુમાં, જ્યારે આરોપીઓ ફરિયાદીના ઘરે ગયા ત્યારે તેમની સાથે કોઈ પણ પ્રકારના હથિયાર ન હતા અને કોઈ હથિયાર લઈને ગયા હોવાનો આરોપ પણ સાબિત થતો નથી. આરોપનામાની તપાસ કરતાં એવું જણાયું હતું કે બનાવ રૂમની અંદર બન્યો હોવાનું કહેવાયું છે, જ્યારે ફરિયાદી અને તેના ઘરના અન્ય સભ્યોના નિવેદનો મુજબ તમામ લોકો ફ્લેટના હોલમાં બેઠેલા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ વિસંગતતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગુજરનારને કોઈ બાહ્ય કે આંતરિક ગંભીર ઈજા ન હોવાનો ઉલ્લેખ હોવાથી સમગ્ર મામલો શંકાસ્પદ બને છે.

આ તમામ તથ્યોને ધ્યાને રાખીને તથા આરોપીઓને પ્રિ-પનીશમેન્ટથી બચાવવા માટે પોરબંદરના જિલ્લા ન્યાયાધીશ બટ્ટી દ્વારા પોલીસનું આરોપનામું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વકીલોની દલીલોને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓ તરફથી પોરબંદરના જાણીતા વકીલ ભરતભાઈ લાખાણી ઉપરાંત અનિલભાઈ સુરાણી અને નવઘણભાઈ જાડેજા પણ કાનૂની લડતમાં જોડાયા હતા, જ્યારે સમગ્ર કાનૂની પ્રક્રિયા અને કાર્યવાહી નિલેષભાઈ પરમાર દ્વારા સંભાળવામાં આવી હતી. આ તમામ દલીલો અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કોર્ટે આરોપી જગદીશભાઈ રાયચુરાને યોગ્ય શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે, જેનાથી સમગ્ર કેસમાં ન્યાયની દિશા સ્પષ્ટ થઈ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *