Headlines

ભાવનગર મંડળ રેલ પ્રબંધક દ્વારા ધોળા–પીપાવાવ રેલખંડનું સંરક્ષા નિરીક્ષણ, ચોમાસાની તૈયારીઓ અને માલ લોડિંગ વધારવા પર વિશેષ ભાર


શંભુ સિંહ , ભાવનગર

યાત્રિયોને સુરક્ષિત અને અવરોધરહિત રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા તેમજ ચોમાસા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) દિનેશ વર્માએ તા. 09 જુલાઈના રોજ ધોળા–પીપાવાવ રેલખંડનું વિન્ડો ટ્રેલિંગ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કર્યું.


નિરીક્ષણ દરમિયાન ડીઆરએમે ચોમાસાને ધ્યાનમાં રાખીને રેલખંડના સંભવિત અને સંવેદનશીલ પાણી ભરાવા (વોટર લોગિંગ) વાળા સ્થળોનું સઘન નિરીક્ષણ કર્યું. તેમણે સંબંધિત અધિકારીઓને આવા સ્થળો પર સતત દેખરેખ રાખવા, સમયસર નિરીક્ષણ કરવા તેમજ જરૂરી સાવચેતીના પગલાં સુનિશ્ચિત કરવા સૂચના આપી, જેથી કોઈપણ પ્રકારની સંચાલન સંબંધિત અડચણ ઊભી ન થાય અને રેલવે કામગીરી સુરક્ષિત તથા સુચારુ રીતે ચાલુ રહી શકે.
આ પ્રસંગે ડીઆરએમે સાવરકુંડલા સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે સ્ટેશન પર ચાલી રહેલા વિવિધ વિકાસ અને નિર્માણ કાર્યોની પ્રગતિ તથા ગુણવત્તાની સમીક્ષા કરી. તેમણે સંબંધિત અધિકારીઓને તમામ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો અનુસાર પૂર્ણ કરવા સૂચના આપી, જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.
નિરીક્ષણ કાર્યક્રમ દરમિયાન ડીઆરએમે પીપાવાવ સાઇડિંગની પણ મુલાકાત લીધી અને પોર્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી. બેઠકમાં રેલવે અને પોર્ટ વચ્ચેના સમન્વયને વધુ અસરકારક બનાવવો, ઉપલબ્ધ અવસંરચનાનો મહત્તમ ઉપયોગ કરવો તેમજ માલ લોડિંગમાં વધારો કરવાની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
ડીઆરએમ દિનેશ વર્માએ જણાવ્યું કે રેલવે–પોર્ટ સમન્વયને વધુ મજબૂત બનાવી ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો સમયની જરૂરિયાત છે. તેમણે માલ પરિવહનને વધુ ગતિ આપવી, લોડિંગ ક્ષમતામાં વધારો કરવો તેમજ ગ્રાહકોને વધુ ઉત્તમ અને ઝડપી રેલ માલ પરિવહન સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂક્યો.
ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષા, આધુનિક અવસંરચનાના વિકાસ તેમજ માલ પરિવહન સેવાઓના સશક્તિકરણ માટે સતત પ્રતિબદ્ધ છે અને આ દિશામાં વિવિધ વિકાસાત્મક તથા સુરક્ષાત્મક કાર્યોને પ્રાથમિકતા સાથે આગળ વધારી રહ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *