Headlines

હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલ સામે જન આક્રોશ: શિક્ષણ કાર્યના ભોગે રાજકીય કાર્યક્રમોના આયોજન મામલે શિક્ષણ અધિકારીને ફરિયાદ: મિતુલ સામે પગલાં ન લેવાય તો જન આંદોલનની ચિમકી



​શાળામાં અભ્યાસ કરતા 600 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોખમ હોવાની આશંકા

ધ ગ્રેટ વર્લ્ડ, હાથબ
​ભાવનગર તાલુકાના હાથબ ગામે આવેલી પ્રાથમિક શાળા હાલ વિવાદના વંટોળમાં ફસાઈ છે. હાથબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલના વહીવટને કારણે જોખમમાં મુકાયું હોવાની ગંભીર રાવ ઉઠવા પામી છે. સ્થાનિકો અને વાલીઓમાં મિતુલ રાવલના વર્તનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ છે કે મિતુલ રાવલ શિક્ષણ કાર્ય કરતા એનાઉન્સર બનવાનો વધુ શોખ ધરાવે છે, જેના કારણે તેઓ શાળાનું કામ છોડીને ગમે તે સ્થળે એનાઉન્સમેન્ટ કરવા પહોંચી જાય છે અને આ પ્રકારની હિલચાલની નોંધ પણ મુવમેન્ટ રજીસ્ટરમાં કરતા નથી.


​આ સમગ્ર મામલે ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક ગોહિલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. અશોક ગોહિલના જણાવ્યા અનુસાર, ગત 17 જૂન 2026 ના રોજ હાથબ પ્રાથમિક શાળામાં કોઈ પણ જાતની સત્તાવાર મંજૂરી વગર રજા જાહેર કરી દેવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો છે કે આ સરકારી કાર્યક્રમ વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ બની રહ્યો હતો. આ કાર્યક્રમ શાળા પરિસરમાં જ યોજાયો હતો. અશોક ગોહિલે આ બાબતે તટસ્થ તપાસ કરવાની અને જો કોઈ અધિકૃત મંજૂરી વિના રજા રાખવામાં આવી હોય, તો આચાર્ય મિતુલ રાવલ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.


​માત્ર શૈક્ષણિક બેદરકારી જ નહીં પરંતુ વહીવટી દુરુપયોગના પણ આક્ષેપો મિતુલ રાવલ સામે થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે મિતુલ રાવલે પોતાની આચાર્ય તરીકેની ચેમ્બર ઉપરાંત એક વધારાનો સ્પેશિયલ રૂમ પોતાના અંગત ઉપયોગ માટે અનામત રાખી લીધો છે, જેમાં અન્ય કોઈને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ તમામ બાબતોને લઈને વિદ્યાર્થી આલમ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અશોક ગોહિલે ચીમકી ઉચ્ચારી છે કે જો શિક્ષણ તંત્ર દ્વારા મિતુલ રાવલ સામે તાત્કાલિક અસરથી સજાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક ગ્રામજનો દ્વારા મોટાપાયે આંદોલન કરવામાં આવશે. શિક્ષણના મંદિરમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ અંગે હવે તંત્ર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

સાંસ્કૃતિક કાર્યક્રમોના મોહમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર કથળ્યું
​હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય મિતુલને એનાઉન્સર બનવાનો અને કાર્યક્રમોમાં હાઈલાઈટ થવાનો વિશેષ શોખ હોવાથી શાળામાં સતત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોને વધુ પડતું મહત્વ આપવામાં આવતા શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બાજુ પર રહી ગયું છે. પરિણામે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર અત્યંત કથળી ગયું છે. ચોથા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કક્કો, બારખડી કે પાયાના આંક પણ આવડતા નથી. વાંચન અને અંગ્રેજી મૂળાક્ષરોનું પાયાનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓ પાસે નથી, જેના માટે ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષકોની બેદરકારી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ઇન્ચાર્જ આચાર્ય મિતુલ સામે બીજા પણ અનેક વિવાદો સપાટી ઉપર આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના ખરાબ કાર્યો અંગેની વધુ કેટલીક વિગતો એકત્રિત થઈ રહ્યું હોવાનું વિદ્યાર્થી નેતાઓએ વધુમાં જણાવ્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *