તેહરાન:
ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ સૈન્ય હુમલામાં સામાન્ય નાગરિકોના મૃત્યુનો આંકડો હવે વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાનની ન્યાયપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શનિવારે એક કન્યા શાળા પર થયેલા હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 85 પર પહોંચી ગયો છે.
અલ જજીરાના એક રિપોર્ટ અનુસાર, આ હુમલા બાદ સર્જાયેલી સ્થિતિ અત્યંત ગંભીર છે અને ઈરાન પર થયેલા સંયુક્ત બોમ્બમારાના કારણે મોટી જાનહાનિ સામે આવી રહી છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA ના જણાવ્યા અનુસાર, કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે, જ્યાં અન્ય 63 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલાઓને કારણે પ્રાદેશિક હિંસા વધુ ભડકી છે.
વિદેશ મંત્રીની પ્રતિક્રિયા
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાની તસવીરો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આ હુમલામાં કન્યા શાળાનો નાશ થયો છે અને નિર્દોષ બાળકોના મોત થયા છે. અરાઘચીએ વધુમાં ઉમેર્યું કે ઈરાની જનતા વિરુદ્ધના આ ગુનાઓનો જવાબ આપવામાં આવશે.
સુરક્ષા પરિષદ પાસે કાર્યવાહીની માંગ
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ આ ઘટનાને ‘ઘોર અપરાધ’ ગણાવીને તેની નિંદા કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ બાબતે તત્કાલ પગલાં લેવા વિનંતી કરી છે. વધુમાં, તેહરાનની પૂર્વમાં આવેલી અન્ય એક શાળા પર થયેલા હુમલામાં પણ બે વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
