દરિયામાં ડૂબી જવાથી માછીમારોના મોતની વધતી જતી ઘટનાઓ: ફોજદાર એન કે વાઘેલા કરી રહ્યા છે તપાસ
પોરબંદર
છેલ્લા કેટલાક સમયથી પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જતા ડૂબી જવાથી માછીમારનું મોત થવાની ઘટનાઓ વધી પડી છે ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના પોરબંદરના દરિયામાં બની છે. આ ઘટનામાં ભરત ચામડિયા નામના એક માછીમારનું મોત થયું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભરત મુળજીભાઇ ચામડીયા (ઉ.વ.૩૫ જાતે-ખારવા ધંધોમાચ્છીમારી રહે.સુભાષનગર સંતોષી માતાના મંદીર વાળી શેરી, પોરબંદર) પીલાણામાં માચ્છીમારી કરવા જતા હતા તે દરમ્યાન અકસ્માતે દરીયાના પાણીમાં પડી જતા ડુબી જવાના કારણે મરણ ગયા છે. તા.૨૯/૧૨/૨૦૨૪ના ૨/૦૦ વાગ્યાના અરસામાં પોરબંદરના દરિયામાં પાણીમાં બનેલી આ ઘટના અંગે બે જાન્યુઆરીના રોજ જીતેન મુળજીભાઇ ચામડીયા (ઉ.વ.૪૨ ધંધો-મચ્છીમારી જાતે- ખારવા રહે.સુભાષનગર સંતોષી માતાના મંદીર વાળી શેરી, પોરબંદર)એ પોલીસને જાણ કરતા પીએસઆઇ એન કે વાઘેલાએ તપાસ હાથ ધરી છે. હાર્બર મરીન પોલીસના ફોજદાર એન કે વાઘેલાને પોલીસે “ડૂબી ગયા ડિપાર્ટમેન્ટ” અલાયદો જ સોંપી દીધો છે એમ કહેવાય છે. આ પ્રકારની ડૂબી ગયા અંગેની બીજી ઘણી બધી તપાસો પણ એમની પાસે છે એટલે એમને આ પ્રકારની ઘટનાઓમાં શું થયું હોઈ શકે અને શું થયું છે વગેરે અંગેની ખૂબ ખૂબ જાણકારી છે. આ ઘટનામાં પણ જે કહેવાય છે તે સિવાયનું બીજું કશુંક હશે તો તે વાઘેલા શોધી કાઢશે.