Saturday June 21, 2025

રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જયંતોર્મિ સાહિત્ય સંસ્થા અને કલાપી ફરસાણ વડોદરા દ્વારા કલાપી મહોત્સવની ભવ્ય ઉજવણી

વડોદરા, તા.૨૬
વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને તેની સાબિતી રૂપે શહેરમાં રોજબરોજ કંઇક ને કંઇક સાહિત્ય, કલા અને સંગીતના કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ક્ષેત્રે ખૂબ નામના ધરાવતી સાહિત્ય સંસ્થા છે. અનેક કલાકસબીઓ, સાહિત્ય રત્નોના સન્માન સાથે ઘણાં સાહિત્યિક કાર્યક્રમો યોજ્યા છે.

તેમાં મોરપીછ સમાન ગણી શકાય તેવો કલાપી મહોત્સવ ૨૬મીના રોજ રોઝરી સ્કુલના ઓડિટોરીયમ ખાતે ઉજવાયો.ખીચોખીચ ભરેલાં ઓડિટોરિયમમાં પ્રેક્ષકોએ ભરપુર રીતે આ મહોત્સવ માણ્યો.

કવિ કલાપી એટલે અમરેલી પાસેના લાઠી સ્ટેટના રાજવી સુરસિંહ તખતસિંહ ગોહિલ.
કલાપી ઉપનામે તેમણે સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમની રચનાઓ આજે પણ લોકમુખે સાંભળવા મળે છે.

“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની”
“તે પંખીની ઉપર પથરો ફેંકતા”
“ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ”

જેવી અનેક રચનાઓ જીવંત છે.. તેમનાં પ્રવાસ વર્ણન, પત્રો અને અન્ય સાહિત્ય વિશાળ છે.

કવિ કલાપીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ અને કલાપી ફરસાણના સહયોગથી યોજાયેલા કલાપી મહોત્સવને શહેર સહિત ઉપરાંત બહારગામથી આવેલા સાહિત્ય રસિકોએ ખૂબ રસપૂર્વક માણ્યો અને વધાવ્યો. લાઠી પરિવારના પ્રતિષ્ઠિત આશરે ૫૦ સભ્યો પણ ઉપસ્થિત હતાં.

કાર્યક્રમને મૂર્તિમંત કરવા જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ હરીશ શાહ, ટ્રસ્ટી અંબરીશ શાહ, ટ્રસ્ટી અક્ષય શાહ અને રાજેશ શાહનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

ઉપસ્થિત મહેમાનોનું પારંપરિક રાજવી શૈલિમાં સાફા પહેરાવી સ્વાગત બાદ કાર્યક્રમની શરૂઆત કવયિત્રી વિભાવરી લેલે દ્વારા સ્તુતિ દ્વારા કરાઇ. જાણીતા ગાયક, કવિ, લેખક, અભિનેતા એવા અરવિંદ બારોટ અધ્યક્ષ પદે, અતિથિ વિશેષ તરીકે રમેશ ચૌહાણ તેમજ કલાપીના અભ્યાસુ સંશોધક લેખક રાજેશ પટેલ મુંબઈ તેમજ કલાપી ફરસાણના ડાયરેક્ટર આશિષ મેતલીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કલાપી કથા, ગાન, નૃત્ય અને કલાપીની કૃતિઓનું પઠન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન હરીશ શાહએ સંભાળ્યું હતું. જ્યારે કૌરેશભાઇ વચ્છરાજાનીએ ભૂમિકા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમના સૂત્રધાર એવા ડો.ગુણવંત વ્યાસે કવિ કલાપીના જીવન કવનને કલાપી કથા ભાવવાહી રીતે રજૂ શ્રોતાઓએ રસપૂર્વક માણી હતી. કલાપીની રચનાઓનું પઠન હરીશ વ્યાસે, જ્યારે કવિતા ગાન નિશા પારધી શાહ દ્વારા કરાયું. કાર્યક્રમ જેમ જેમ આગળ ધપતો ગયો તેમ તેમ શ્રોતાઓનો ઉત્સાહ બેવડાતો ગયો અને જિજ્ઞાસા વધતી ગઇ.

કલાપીની રચના ઉપર નૃત્ય નિર્દેશન જૂથિકા મહેનએ સંભાળ્યું હતું અને ઉર્મિત શાહે નૃત્ય રજૂ કરી રસિકજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ લોકગાયક અરવિંદ બારોટે દરબાર વાજસુર વાળાના કલાપી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન દીપ્તિ પણ અરવિંદ બારોટે કર્યું.

કાર્યક્રમને અંતે સંસ્થાના ટ્રસ્ટી રાજેશ શાહે આભાર વિધિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top