Saturday June 21, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષદ અને નાગેશ્વર યાત્રાધામનો થશે નોંધપાત્ર વિકાસ: રાજ્ય સરકાર દ્વારા 187 કરોડની ફાળવણી: સરવે કામગીરી શરૂ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫

        દેવોની ભૂમિ એવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક પ્રાચીન અને ભવ્ય ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં સ્થિત વિવિધ મંદિરો તેમજ દેવસ્થાનોના વિકાસ માટે સરકાર દ્વારા ખાસ લક્ષ્ય કેળવવામાં આવ્યું છે. જેમાં સૌથી પ્રખ્યાત અને વિખ્યાત એવું દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને બેટનું હનુમાન દાંડી તેમજ ખંભાળિયામાં આવેલું જૈન તીર્થ આરાધના ધામ, ભાણવડમાં હાથલા ખાતે ભગવાન શનિદેવનું જન્મ સ્થાન, કલ્યાણપુર હરસિધ્ધિ માતાજી મંદિર વિગેરે ધાર્મિક સ્થળો સાથે રાજ્ય સરકાર દ્વારા ખાસ વિકાસ કાર્યોના ભાગરૂપે હર્ષદ સ્થિત હરસિધ્ધિ માતાજીનું મંદિર અને દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરના વિકાસના ભાગરૂપે નોંધપાત્ર કહી શકાય તેટલા રૂ. 187 કરોડની ફાળવણી કરતા ધર્મપ્રેમી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

       

ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 187 કરોડની જંગી રકમ હર્ષદ અને નાગેશ્વર એમ બે સ્થળોના વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવી છે.

રૂપિયા 120 કરોડના ખર્ચે દ્વારકા-નાગેશ્વર સિક્સ લેન હાઈવે બનશે –

        દ્વારકાના દ્વારકાધીશ મંદિર ઉપરાંત ધર્મસ્થળ તરીકે વિશ્વવિખ્યાત બનેલા નાગેશ્વર જ્યોતિર્લિંગનું પણ અનન્ય મહત્વ છે. ત્યારે દ્વારકાથી નાગેશ્વર તરફ જતા રસ્તાને સિક્સ લેન રોડ બનાવવામાં આવશે. જે ગુજરાતનો અનોખો અને એકમાત્ર હાઈવે બનશે. આનાથી યાત્રિકો તેમના વાહનોમાં બેસીને આ રોડ પર ગાડી ચલાવતા જ વિશાળ અને ઉંચી શિવ પ્રતિમાના દર્શન પણ કરી શકશે. 

હરસિધ્ધિ માતાજીના મંદિર સ્થળે ફોર લેન રોડ બ્યુટીફિકેશન

      કલ્યાણપુર તાલુકાના મિયાણી ખાતે આવેલા હરસિધ્ધિ માતાજીનું મંદિર કે જે ખૂબ જ મોટું યાત્રાધામ છે, ત્યાંના વિકાસ માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ‘હરસિદ્ધિ વન’ બનાવવામાં આવ્યું છે. ત્યારે હરસિધ્ધિ માતાજીના મંદિરથી હરસિધ્ધિ વન સુધીના રસ્તાને ફોર લેન બનાવવામાં આવશે. આ ઉપરાંત આ રસ્તા પર બ્યુટીફિકેશન માટે વૃક્ષો, બગીચા અને પાર્ક જેવી સુવિધા સાથે સમુદ્ર કિનારે યાત્રિકો પ્રકૃતિનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા પણ આ બ્યુટીફિકેશન હેઠળ કરવામાં આવશે.

સરવેની કામગીરી શરૂ

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.ડબ્લ્યુ.ડી. સ્ટેટના કાર્યપાલક ઈજનેર યુ.બી. ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે નાગેશ્વર રોડ સિક્સ લેઈન માટે સરકાર દ્વારા 120 કરોડ તથા હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે ફોરલેન અને બ્યુટીફિકેશન માટે રૂપિયા 67 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ બંને સ્થળે સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ પછી સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવાયા બાદ તબક્કાવાર વિકાસ કર્યો હાથ ધરવામાં આવશે.

         આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ બે વિશ્વ વિખ્યાત ધર્મ સ્થળો યાત્રાળુઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top