Saturday June 21, 2025

હર્ષદથી શિવલિંગની થયેલી ચોરીમાં નોંધપાત્ર કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ, સ્ટાફને સન્માનિત કરાયા

જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓને સ્મૃતિ ચિહ્ન અપાયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫

          દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર પંથકમાં અતિ ચકચારી બની ગયેલા હર્ષદ ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં થયેલી શિવલિંગની ચોરીના પ્રકરણમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવેલી તાકીદની અને નોંધપાત્ર કાર્યવાહીના અંતે આ શિવલિંગને શોધવામાં સફળતા મળી હતી. આ સમગ્ર પ્રકરણની સરાહના કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાએ અહીંના પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમને સન્માનિત કર્યા હતા. 

      દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે આવેલા ભીડભંજન મહાદેવના મંદિરમાંથી શિવરાત્રીના આગલા દિવસે તારીખ 25 ના રોજ શિવલિંગની ચોરી થયાનો અતિ ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ કેસમાં શિવલિંગ તેમજ તસ્કરોની ભાળ મેળવવી ખૂબ જ પડકારરૂપ અને ચેલેન્જ રૂપ બન્યું હતું. કારણ કે આ પ્રકરણમાં કોઈપણ પ્રકારની સીસી ટીવી ફૂટેજ કે નજરે જોનારાઓ નહોતા. આટલું જ નહીં માનવ વસ્તીથી દૂર આવેલા આ પ્રાચીન શિવ મંદિરમાં થયેલી આ ચોરી પોલીસ માટે આસ્થા અને ડિટેકશનની મહત્વની જવાબદારી બની રહી હતી.

           આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને કલ્યાણપુર પોલીસની ટીમ દ્વારા 48 કલાક જેટલા સમયગાળા દરમિયાન અહીંથી ખૂબ જ દૂર હિંમતનગરના એક ગ્રામ્ય વિસ્તારમાંથી તસ્કરોને ઝડપી લઇ અને શિવલિંગ પરત મેળવવાની નોંધપાત્ર સફળતા મળી હતી. જેને સંદર્ભે પોલીસની આ કામગીરીની સર્વત્ર સરાહના થઈ હતી.

         આ નોંધપાત્ર અને મહત્વની સિદ્ધિ બદલ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ સ્ટાફના એ.એલ. બારસીયા, એસ.વી. કાંબલીયા, જેસલસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, ડાડુભાઈ જોગલ, તેમજ કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ, વિગેરેને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સ્મૃતિ ચિહ્ન તેમજ સર્ટિફિકેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top