Headlines

અરવલ્લીના મેઘરજમાં ૭૦ વીઘાનું તળાવ ભરવા ખેડૂતોનું આંદોલન; વાત્રક નદીનું પાણી આપવા માંગ


ધ ગ્રેટ વર્લ્ડ, અરવલ્લી

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા કંભરોડા ગામના ખેડૂતોએ પોતાની ખેતી અને પશુપાલનને બચાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગામમાં આવેલું આશરે ૭૦ વીઘાનું વિશાળ ઐતિહાસિક તળાવ લાંબા સમયથી સુકુંભઠ્ઠ પડ્યું છે. સરકાર દ્વારા આસપાસના વિસ્તારો માટે જાહેર કરાયેલી જળ સંચય યોજનાઓમાંથી આ મોટા તળાવને અકળ કારણોસર બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે નજીકમાંથી પસાર થતી વાત્રક નદી લિફ્ટ ઇરિગેશન યોજના દ્વારા આ તળાવને પાણીથી ભરી આપવામાં આવે.
ઉનાળાની આકરી ગરમીમાં ગામના ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે, જેના કારણે સિંચાઈ તો ઠીક પણ પશુઓ માટે પીવાના પાણીની પણ મોટી સમસ્યા સર્જાઈ છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડ્યે ભૂખ હડતાળ પર ઉતરશે. કલેક્ટર કચેરીને પણ આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ચોમાસું નજીક છે ત્યારે જો આ તળાવને લિંક નહેર સાથે જોડી દેવામાં આવે તો આખા પંથકના હજારો ખેડૂતોના કુવા અને બોરમાં પાણીના સ્તર ઊંચા આવી શકે તેમ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *