
- પોલીસ ટીમે મંદિરે પહોંચીને તપાસ હાથ ધરી – શિવલિંગનું થાળું દરિયાકાંઠેથી મળ્યું
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ હર્ષદ માતાજીના મંદિર પાછળ આવેલ ગાંધવીના દરિયા કિનારે એક પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ ગતરાત્રિના સમયે શિવલિંગ ઉખેડી લઈ ગયાનું બહાર આવ્યું છે.
આ શિવલિંગનું થારુ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવ્યું હતું. જોકે શિવલિંગ ન મળતા ભારે ચર્ચા મચી જવા પામી છે.
આ ઘટના બનતા જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડેની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ તેમજ એલસીબી અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ, સી.સી. ટી.વી. ફૂટેજ ચેક કરવા સહિતની જુદી જુદી દિશાઓમાં તપાસ હાથ ધરી છે. આવતીકાલે શિવરાત્રીનું મહાપર્વ છે, ત્યારે આ પૂર્વે બનેલી આ ઘટનાથી આવી પ્રવૃત્તિ કરતા તત્વો સામે સનાતનીઓમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.