
દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય રીતે યોજાશે ફુલડોલ ઉત્સવ: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫
દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાએ હોળીના તહેવાર પર મોટી સંખ્યામાં આવતા યાત્રિકો, પદ યાત્રિકો માટે માર્ગ સલામતી, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી.ટી.વી કેમેરાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલ ચેરની વ્યવસ્થા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવી સહિત બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને નાગેશ્વર સહિતના પ્રવાસન સ્થળો પર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખતા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ મીટિંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, દ્વારકાના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર રિદ્ધિ રાજ્યગુરુ, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, મામલતદાર સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)