Headlines

ખોટી ઉચાપતની ફરિયાદમાંથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા નિર્દોષ જાહેર


પોરબંદર કોર્ટે ૨૦૦૯ના જૂના કેસમાં ઝડપી સુનાવણી હાથ ધરી ન્યાયી ચુકાદો આપ્યો

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદરમાં આદર્શ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત થયેલા લોકપ્રિય શિક્ષિકા નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતા સામે વર્ષ ૨૦૦૯માં થયેલી ખોટી ફોજદારી ફરિયાદમાં કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂકવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતાની રાણીલક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક થતાં તેમણે સ્ટાફને નિયમિત વર્ગખંડો લેવા સૂચના આપી હતી. આ શિસ્તબદ્ધતા ભૂતપૂર્વ આચાર્ય ઘનશ્યામભાઈ દવેને ગમી ન હતી, કારણ કે નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતાના આવવાથી તેઓ સામાન્ય શિક્ષક બની ગયા હતા. અગાઉ ઘનશ્યામભાઈ દવેએ નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતાનું સ્કૂટર સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જેની ફરિયાદ થતાં તેમણે રાગદ્વેષ રાખીને વાલી સમિતિના પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી લાલજીભાઈ પાંજરી સાથે મળીને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમની ખોટી ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ખોટું ચાર્જશીટ ફાઈલ કરતા આ કેસ વર્ષ ૨૦૦૯થી પેન્ડિંગ હતો. પોરબંદરના સિનિયર સિવિલ જજ બી જે પટેલ દ્વારા આ કેસ હાથ પર લઈ દર તારીખે પંદરથી વીસ સાક્ષીઓને સમન્સ પાઠવી ઝડપી સુનાવણી કરવામાં આવી હતી. બચાવ પક્ષના એડવોકેટ ભરતભાઈ લાખાણીએ ધારદાર ઉલટતપાસ અને દલીલો કરતા જણાવ્યું કે રેકોર્ડ પર કોઈ ઉચાપત સાબિત થતી નથી, બાકી રહેલી તમામ રકમ સ્કૂલના બેંક ઓફ બરોડાના ખાતામાં જમા છે અને તપાસ કરનાર અધિકારી ધોકીયાના અહેવાલમાં પણ કોઈ ગુનો બનતો હોવાનું જણાવાયું નથી. આ તમામ પુરાવા અને કાયદાની જોગવાઈઓને ધ્યાને રાખી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી જે પટેલે નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતાને નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ કેસમાં નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતા વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભૂમિ વરવાડીયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *