અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક સેવાકાર્યો બદલ અભિવાદન કરાયું
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ ઘુમલી સંત હરિયાપીરની જગ્યાના હરિબાપુ પીરનું પોરબંદર ખાતે ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં વકીલ ગોવિંદભાઈ સાદીયા ઉર્ફે જી. કે. સાદીયાની ઓફિસ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુસૂચિત જાતિના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ આગેવાનો દ્વારા હરિબાપુ પીરના ધાર્મિક, સામાજિક તેમજ માનવ સેવાના કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અભિવાદન પત્ર એનાયત કરાયું હતું.
આ સન્માન સમારોહમાં તાલુકા વણકર સમાજના પૂર્વ પ્રમુખ અમરાભાઈ રાઠોડ, નિવૃત ઈન્કમટેક્સ ઓફિસર આનંદભાઈ દાફડા, નિવૃત પોલીસ હેડકોન્સ્ટેબલ મોહનભાઈ રેણુકા, કોન્ટ્રાકટર સામતભાઇ મકવાણા અને ભીમજીભાઈ ચાંડપા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ જણાવ્યું હતું કે હરિબાપુ પીરના કાર્યોથી સમાજમાં એકતા, સેવા અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની સૌને પ્રેરણા મળી રહી છે. અંતમાં હરિબાપુ પીરે પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
