– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં આવી છે.
ઉપરોક્ત તાલુકાઓના મામલતદાર કચેરીઓના નોટિસ બોર્ડ પર બાંધકામ અંગે સર્વે નંબર સહિત ની નોટિસો મુકવામાં આવતા આ તમામ તાલુકામાં ભારે ચર્ચા મચી જવા પામી છે.
આ વિસ્તારના વિવિધ નાના- મોટા મંદિરો તેમજ ડેરીઓ ઉપરાંત વિવિધ ધર્મસ્થાનો અને મુસ્લિમ ધર્મના સ્થાનકો, દરગાહ વિગેરે ધર્મ સ્થળોમાં બાંધકામ દૂર કરવા અંગેની નોટિસો આપવામાં આવતા ઉહાપોહ મચી જવા પામ્યો છે. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે જિલ્લામાં માત્ર ધાર્મિક સંસ્થાઓ અંગેના સર્વે બાદ ધર્મસ્થળોને જ નોટિસો આપવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જિલ્લામાં ચારેય તાલુકાઓમાં અન્ય પણ વ્યાપક જમીન દબાણ છે. જેમાં કોમર્શિયલ, રહેણાંક અને વંડાઓ પણ બનાવવામાં આવ્યા છે. તો આવા દબાણકર્તાઓને નોટિસો કેમ નહીં? તે બાબતે પણ વ્યાપક ચર્ચા મચી જવા પામી છે.
અનેક સ્થળોએ હુકમો પછી પણ દબાણો હટ્યા નથી. ત્યારે નવાઈની બાબતો એ છે કે આ પ્રકારના આદેશો રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં થયા નથી.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)