પહેલી ધારની વાત – નારન બારૈયા

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નારી શક્તિ પોતાના પતિદેવોની આયુ રેખાને લોખંડી અને યમરાજથી પણ સુરક્ષિત બનાવવા માટે અથાણું-વ્રત અને આકરી તપસ્યા કરતી આવી છે. પતિ માત્ર સોફા પર બેસીને ચાની ચુસ્કીઓ લેતો રહે અને પત્ની તેના દીર્ઘ આયુષ્ય માટે આખો દિવસ ભૂખી-તરસી રહીને પ્રાર્થનાઓનો પહાડ ખડકી દે, એ દ્રશ્ય આપણા સમાજમાં બહુ સામાન્ય ગણાય છે. પરંતુ ક્યારેક આ એકતરફી શ્રદ્ધા પત્નીઓ માટે કેવી અગ્નિપરીક્ષા સમાન સાબિત થાય છે, તેનો એક જીવતો-જાગતો કિસ્સો બિહારથી સામે આવ્યો છે. બિહારના પટણામાં આવેલા ફતુહા બ્લોક ઓફિસ પરિસરમાં વડ સાવિત્રી વ્રત દરમિયાન એક અત્યંત ગંભીર અને ચિંતાજનક દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઈ. પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના સાથે વડના વૃક્ષ નીચે પૂજા કરી રહી હતી, ત્યારે જ અચાનક ત્યાં એક અણધારી આફત આવી પડી.
આ ઘટનાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે પત્નીઓએ તો પોતાની પૂજા પૂરા હોશ અવાઝમાં અને મર્યાદા પૂર્વક શરૂ કરી હતી. પરંતુ, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલાઓએ પૂજા માટે પ્રગટાવેલા ઘીના દીવાની જ્યોત વડના ઝાડ પર વીંટાળેલા સૂકા દોરાઓને અડી ગઈ હતી. જોતજોતામાં એ સૂકા દોરાઓએ આગ પકડી લીધી અને આખું વૃક્ષ ભયાનક લપેટોમાં આવી ગયું. જે પત્નીઓ થોડી ક્ષણો પહેલાં પોતાના પતિની સુરક્ષાના મંત્રો ભણી રહી હતી, તેમણે અચાનક પોતાની સુરક્ષા માટે ત્યાંથી ભાગવું પડ્યું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અકસ્માત પુરુષ પ્રધાન સમાજની એ ઘોર બેદરકારી અને આળસ તરફ આંગળી ચીંધે છે, જેના વિશે ક્યારેય ગંભીરતાથી વિચારવામાં આવ્યો નથી.
આ ભયાનક અગ્નિકાંડમાં પત્નીઓ તો માંડ-માંડ બચી, પરંતુ વર્ષોથી શાંતિથી ઊભેલા એ વડલા દેવ પોતે પણ સળગી ગયા. જાણે પોતાને આખી આગમાં લપેટીને એ વડલા દેવે મૌન રહીને જ પુરુષ સમાજને એક ગર્ભિત ધમકી આપી દીધી છે કે જો હજુ પણ તમે જાગૃત નહીં થાઓ, તો પરિણામ ભયંકર આવશે. વડલા દેવે જાણે ઇશારામાં કહી દીધું છે કે હવે સમય આવી ગયો છે કે પુરુષો પણ પોતાની સ્ત્રીઓ માટે કોઈને કોઈ નવું, આધુનિક વ્રત શોધી કાઢે. જો પુરુષો પોતાના અહમ કે આળસને કારણે સ્ત્રીઓના દીર્ઘ આયુષ્ય માટે આવા કોઈ આધુનિક વ્રતની શોધ નહીં કરે, તો આવનારા સમયમાં સ્ત્રીઓ પણ પતિઓના આયુષ્ય માટે આવી જોખમી પ્રાર્થનાઓ કરવાનું સદંતર બંધ કરી દેશે.
જો પુરુષો તરફથી પત્નીઓ માટે ત્યાગ અને ઉપવાસની કોઈ પરંપરા શરૂ કરવામાં નહીં આવે, તો સ્ત્રીઓ પણ હવે પોતાના અધિકારો પ્રત્યે સજાગ થઈ જશે. આગામી દિવસોમાં પતિઓના લાંબા આયુષ્યને બદલે તેમને ‘વહેલો મોક્ષ’ મળી જાય તેવી ઉગ્ર પ્રાર્થનાઓ કરવાનો કોઈ આધુનિક રિવાજ પણ શરૂ થઈ શકે છે, જે પુરુષો માટે ભારે પડી જશે. સ્ત્રીઓ રોજેરોજ ઘરના ઉંબરે દીવો પ્રગટાવીને પતિના ક્ષેમ-કુશળ હોવાના આશીર્વાદ માંગે છે, જ્યારે પુરુષો વ્રત અને ઉપવાસના નામે માત્ર પત્નીઓ પર જ આખો ભાર ઢોળી દે છે. પટણાની આ ઘટના એ વાતની સાબિતી છે કે સદીઓથી પુરુષોએ વ્રત અને ધાર્મિક વિધિઓની બાબતમાં સ્ત્રીઓને એકલી મૂકીને અન્યાય કર્યો છે. માટે, “જાગો પુરુષ જાગો”, હવે સમય પાકી ગયો છે કે પુરુષો પણ પત્નીના આયુષ્ય માટે ઉપવાસ પર ઉતરે, જેથી ભવિષ્યમાં કોઈ પત્નીને પતિના આયુષ્યની રક્ષા કાજે પોતાની જાતને આવા અગ્નિ સંકટમાં મૂકવી ન પડે.
