Headlines

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૨૨ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘નેશનલ સાયન્સ ડે’ની ભવ્ય ઉજવણી

વિપુલ હિરાણી 

ભાવનગર તા.૨૮

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘નેશનલ સાયન્સ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા ૩૫ કરતાં વધુ વિજ્ઞાન આધારિત મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 

શાળાના બાળકોએ વિજ્ઞાન વિષય પર આધારિત ખૂબ સરસ મોડેલ રજૂ કર્યા. ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 

‘નેશનલ સાયન્સ ડે’ ના દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના ૨૦૦ કરતાં વધારે  વિદ્યાર્થીઓએ પ્રયોગો રજૂ કર્યા. પ્રદર્શન ઉપરાંત વિશેષ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્સપર્ટ હેન્ડસ-ઓન રૉબોટિક્સ કીટનું ડેમોન્સ્ટ્રેશન તથા લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ, વોટર રોકેટરી, ઓરીગામી તથા જુદી જુદી હેન્ડસ ઓન પ્રવૃતિઓ કરાવવામાં આવી. 

ભારતમાં દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ એ છે કે ૨૮ ફેબ્રુઆરી,૧૯૨૮ના રોજ મહાન ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામન (Sir C. V. Raman) દ્વારા “રામન અસર” (Raman Effect)ની મહત્ત્વપૂર્ણ શોધ જાહેર કરવામાં આવી હતી. આ અદભૂત શોધ બદલ તેમને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, યુવા પેઢીને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહિત કરવું અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે જનજાગૃતિ ફેલાવવી છે. આ અવસર પર દેશભરના શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને વિજ્ઞાન સંસ્થાઓમાં  પ્રદર્શન, પ્રયોગો, સ્પર્ધાઓ અને વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વિજ્ઞાન માનવ જીવનને સરળ, સુરક્ષિત અને પ્રગતિશીલ બનાવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસરે દરેક નાગરિકમાં તર્કસંગત વિચારશક્તિ, નવીનતા અને સંશોધન પ્રત્યે રસ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ વિજ્ઞાનપ્રેમી સમાજ રચવાના સંકલ્પનો દિવસ છે.

આરએસસી ભાવનગર ખાતે તા. ૨૨ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન આયોજિત સાયન્સ કાર્નિવલ માં અંદાજે ૧૫૦૦ કરતાં વધારે શાળાના બાળકો તથા મુલાકાતીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં રોજ જુદી જુદી પ્રવૃતિઓ જેમ કે ઓરીગામી, સ્કાય ગેઝિંગ,  સાયન્સ ક્વિઝ, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન વગેરે કરાવવામાં આવી હતી. 

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. 

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, તથા લોકો માં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *