જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬
ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ જ ગંદુ તથા પીળાશ પડતું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરે આપવામાં આવતા પાણીમાં દુર્ગંધ અને ગંદકી જોવા મળતાં લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે.
સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આવા પાણીનો ઉપયોગ પીવા કે ઘરેલુ કામ માટે કરવો મુશ્કેલ બન્યો છે. લોકોએ પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક પાણીની તપાસ કરી સ્વચ્છ પાણી પૂરું પાડવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે પાણી અંગે કરાયેલા સરવેમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી આરોગ્યને હાનિકર્તા તેમજ પીવા લાયક ન હોવાનો ધગધગતો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ તંત્રની કામગીરીમાં નોંધપાત્ર સુધારો ન થતા અને રાબેતા મુજબ ગંદુ અને રોગચાળો ફેલાય તેવું પાણી આપવામાં આવતા નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોમાં સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.



