જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬
જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને કરેલી સૂચનાને અનુલક્ષીને એલસીબીની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ અને દિનેશભાઈ માડમની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ તેમજ હ્યુમન અને ટેકનિકલ સોર્સિસની મદદથી જાણકારી મેળવી અને સગીરાના અપહરણના કેસનો છેલ્લા 32 વર્ષની નાસતો ફરતો આરોપી કેરલ રાજ્યના અલપુઝા (અલાપી) વિસ્તાર માં રહેતો વેણુ ડી. દામોધરન (ઉ.વ. 59) ની ભાળ મળતા એલસીબીની ટીમે કેરલ રાજ્ય ખાતે જઇ અને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ વધુ તપાસ અર્થે આરોપીનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. કે.એસ. ગળચર, એલસીબીના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, દિનેશભાઈ માડમ, દીપકભાઈ રાવલીયા, મુકેશભાઈ કેસરિયા, વિશ્વદીપસિંહ જાડેજા, સચિનભાઈ, કિરપાલસિંહ, પ્રકાશભાઈ, રાજાભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
