Headlines

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય અને હેમુ ગઢવી એવોર્ડની જાહેરાત: રાજુલ દવે અને બિહારીદાન ગઢવીનું થશે સન્માન

Oplus_131072

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ૯ સપ્ટેમ્બરે એવોર્ડ સમારોહ યોજાશે

ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તથા લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ માટે પસંદગી જાહેર કરવામાં આવી છે. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના બુધવારે યોજાનારા એવોર્ડ સમારોહમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડથી રાજુલ દવે અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડથી બિહારીદાન ગઢવીનું સન્માન કરવામાં આવશે.

રાજુલ દવેનો જન્મ મુંબઈમાં થયો હતો, જ્યારે તેમનું વતન રાજકોટ રહ્યું છે. સ્વાતંત્ર્ય સૈનિક પરિવારમાં જન્મેલા રાજુલ દવેએ પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. વિજ્ઞાનના વિદ્યાર્થી રહેલા રાજુલ દવેએ ૧૯૮૮થી ૨૦૧૫ સુધી પત્રકારત્વને વ્યવસાય તરીકે સ્વીકાર્યું હતું. ગુજરાત તથા દેશના અગ્રણી અખબારી જૂથો સાથે જોડાઈ તેમણે લેખન, પત્રકારત્વ અને સંશોધન ક્ષેત્રે યોગદાન આપ્યું છે. ૧૯૮૫થી તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. ‘અભિનવચર્યા’ સામયિક સાથે પણ તેઓ લાંબા સમય સુધી સંકળાયેલા રહ્યા હતા. માતુશ્રી વિદાબેન, પિતા ઈશ્વરભાઈ મો. દવે અને જયમલ્લભાઈ પરમારના માર્ગદર્શનનો તેમના સાહિત્યિક ઘડતરમાં મહત્વનો ફાળો રહ્યો હોવાનું પુસ્તિકામાં જણાવાયું છે.

રાજુલ દવેએ લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સંશોધનના ક્ષેત્રમાં વિવિધ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે. તેમના કાર્યમાં ‘દૂધ દસમાં વેદ’, ‘માણું તો ભોમકા લાગે’, ‘આપણાં લોકગીતો’, ‘સૌરાષ્ટ્રના આચાર્ય રજનીશ’, ‘લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો’, ‘સાહિત્યની સુગંધ’, ‘ગુજરાતમાં વૈષ્ણવી ભક્તિધારા’, ‘ખામેરેલી સત્યાગ્રહ’ અને ‘સંત સવારામજી’ સહિતના ગ્રંથોનો સમાવેશ થાય છે. કલા, સાહિત્ય અને લોકસંસ્કૃતિને લગતી પ્રવૃત્તિઓમાં પણ તેમનું યોગદાન રહ્યું છે.

લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ માટે પસંદ કરાયેલા બિહારીદાન ગઢવીનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૧ના રોજ ટાંકડીયા મુકામે થયો હતો. પિતા હેમુ ગઢવી અને માતા હરિબા પાસેથી બાળપણથી જ તેમને લોકસંગીતના સંસ્કાર મળ્યા હતા. હેમુ ગઢવીની આકાશવાણી રાજકોટ ખાતેની કામગીરીને કારણે પરિવાર રાજકોટ આવ્યો હતો. બિહારીદાન ગઢવીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં સેવા આપી હતી અને નિવૃત્તિ બાદ લોકસંગીત ક્ષેત્રે સક્રિય કામગીરી કરી હતી. હેમુ ગઢવીનાં ગીતો રેડિયો પર સાંભળીને તેમને લોકગાયક બનવાની પ્રેરણા મળી હતી.

બિહારીદાન ગઢવીએ મુંબઈ, દિલ્હી, મદ્રાસ, પૂના, કલકત્તા અને હુબલી ઉપરાંત મસ્કત, અમેરિકા, કેનેડા અને લંડનમાં પણ લોકસંગીતના કાર્યક્રમો રજૂ કર્યા છે. ગુજરાતી ફિલ્મો ‘ખેમરો-લોડણ’, ‘મારું ઘર માડું મંદિર’, ‘વિહળ રાઠો’ અને ‘જગત જનની માં ખોડિયાર’માં પાર્શ્વગાયક તરીકે પણ તેમણે કામગીરી કરી છે. લોકસંગીત ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ’ તથા ગુજરાત સરકારનો ‘ગૌરવ પુરસ્કાર’ મળ્યો હોવાનું પુસ્તિકામાં જણાવાયું છે.

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ સાથે જોડાયેલા અગાઉના સન્માનિતોની લાંબી યાદી પણ પુસ્તિકામાં આપવામાં આવી છે. આ પરંપરામાં રાજુલ દવે અને બિહારીદાન ગઢવીના નામનો ઉમેરો થવાથી લોકસાહિત્ય અને લોકસંગીત ક્ષેત્રે તેમના યોગદાનને સન્માનિત કરવામાં આવશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *