અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે
રાજકોટ
રાજકોટના નગર રચના યોજનાના નગર નિયોજક-૨ અધિકારીશ્રી દ્વારા નગર રચના યોજના નં-૨૦ નાનામવાની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.
જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ‘‘ડ’’ મુજબ, નગર રચના યોજના નં-૨૦ (નાનામવા)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે. આ નિર્ણયોથી અસંતોષ થયો હોય તેવી હિતસંબંધ ધરાવતી વ્યક્તિ-માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેથી એક માસની અંદર, અપીલપાત્ર નિર્ણયોની સામે રાજ્યકક્ષાના બોર્ડ ઑફ અપીલના પ્રમુખશ્રી, બોર્ડ ઓફ અપીલની કચેરી, (સી/ઓ, મુખ્ય નગર નિયોજકની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ચ-૩, ક્રોસ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ મેમોરેન્ડમની મૂળ નકલ ઉપર લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.
ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૩ મુજબ, ન.ર.યો.ના કેટલાક નિર્ણયો છેવટના છે, જ્યારે કલમ-૫૪ મુજબ કેટલાક નિર્ણયો કલમ-૫૫ મુજબ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે.
તૈયાર આખરી નગર રચના યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નિરિક્ષણ માટે, નગર રચના અધિકારી અને નગર નિયોજક -૨, રાજકોટ નગર રચના યોજના, આર.એમ. સી. મલ્ટીએક્ટિવિટી સેન્ટર, પ્રથમ માળ, નાના મવા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે, તેમ નગર નિયોજક -૨ શ્રી એચ.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.