આંબલામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિની પૂર્ણાહુતિ થઈ
મૂકેશ પંડિત, ઈશ્વરિયા
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં રસપ્રદ વક્તવ્ય આપ્યું.
રાવિકૃપા સંસ્થા અને શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનાં સહયોગ સાથે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ૫૯મી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિનું ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા લોકશાળા ખડસલીમાં આયોજન થઈ ગયું.
આંબલામાં સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ અને પ્રેરક વક્તા શ્રી યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પોતાનાં અભ્યાસ સ્થિતિ અનુભવો સાથે પાઠ આપતાં રસપ્રદ વક્તવ્ય આપ્યું. તેમણે ધ્યેય નક્કી કરવાં સાથે પરીક્ષા હોય કે ન હોય અભ્યાસ સાતત્ય જાળવવા કહ્યું. પોતાનાં ગુરૂકુળ સોનગઢમાં અભ્યાસ દરમિયાન ગુરુજી શ્રી ભોથાભાઈ ખસિયાનાં સ્મરણ સાથે અભ્યાસ જ કેન્દ્રમાં રાખવા તેમની શિખમણથી જ પોતે સફળ રહ્યાનું જણાવ્યું અને ૧૦ ટકા મહત્વાકાંક્ષા તથા ૯૦ ટકા પરિશ્રમ સાથે સફળતા મેળવવા જણાવ્યું. માવતરની અપેક્ષા માટે ખરા ઉતરવા પણ ટકોર કરી.
આ પ્રસંગે શ્રી પ્રવિણભાઈ બલદાણિયાએ આ શિક્ષણ પ્રણાલી ઊર્જા આપનાર ગણાવી.
શિક્ષણવિદ્દ શ્રી નલિનભાઈ પંડિતે લોકશાળા સંઘને અભિનંદન આપી માતૃભાષા સંદર્ભે થયેલ આયોજનને બિરદાવી શિક્ષણ તંત્રને પણ અહી કશુંક પ્રાપ્ત થઈ શકે તેમ જણાવ્યું.
સંસ્થાનાં અગ્રણી શ્રી પ્રશાંત ભટ્ટે યજમાન તરીકે આવેલા વિદ્યાર્થીઓએ પાંચ દિવસ મોજ કર્યાની બાબતને સફળતા ગણાવી.
સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયાએ આવકાર આપતી વેળાએ સંસ્થાનાં કાર્યકર્તાઓનાં સંકલનથી સફળતાની લાગણી જણાવી.
સંસ્થાનાં શ્રી ભરતભાઈ દવેનાં સંકલન સાથે વિદ્યાર્થી સંગીતવૃંદ દ્વારા ભાવવાહી પ્રાર્થના તથા ગીતગાન પ્રસ્તુતિ થયેલ. સાંજના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયાં. આ દરમિયાન ગુજરાતી તળપદ સાહિત્ય સંદર્ભે રંગપરની મંડળી દ્વારા ભવાઈ નાટ્ય પ્રયોગ સૌએ માણ્યો.
શ્રી ગૌરાંગ વોરાનાં સંચાલન સાથે આ ઉપક્રમ દરમિયાન ૧૨ સંસ્થાઓ પૈકીનાં પ્રતિનિધિ વિદ્યાર્થીઓ કુમારી રાશિ ગોહિલ અને શ્રી પારસ ભાલિયા સાથે શિક્ષક શ્રી ચંદુભાઈ ભાલિયા તથા શિક્ષિકા શ્રી ચાંદનીબેન મકવાણાએ આ દિવસોનાં અનુભવ પ્રતિભાવો રજૂ કરેલ.
આભાર દર્શન શ્રી જશવંતભાઈ કાકડિયાએ કરતાં સંગોષ્ઠિ અહેવાલ પણ આપ્યો.
માતૃભાષા હેતુ શિક્ષણ સજ્જતા માટેનાં ઉપક્રમમાં સંઘ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી તથા ઉપપ્રમુખ શ્રી ખોડાભાઈ ખસિયા અને મંત્રીઓ શ્રી સંજયભાઈ કાંત્રોડિયા તથા શ્રી જસવંતભાઈ કાકડિયાનું સુંદર સંકલન રહ્યું.
આંબલામાં વિદ્યાર્થીઓ માટે રસપ્રદ રહેલ સંગોષ્ઠિ દરમિયાન સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી મહેન્દ્રસિંહ પરમાર, શ્રી જીજીભાઈ ચૌહાણ, શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી અશ્વિનભાઈ આણદાણી , શ્રી ભારતસિંહ ગોહિલ, શ્રી કૃષ્ણભાઈ દવે, શ્રી લાલજીભાઈ નાકરાણી, શ્રી નાગરભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ દેવમમુરારિ, શ્રી ભાનુભાઈ ભટ્ટ વગેરેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું.


