જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫
દ્વારકામાં સંકલ્પ એન.જી.ઓ. દ્વારા તાજેતરમાં 360 મી ઈવેન્ટની ઉજવણી પ્રસંગે શહેરની લેમન ટ્રી હોટેલમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ પીજીવીસીએલના સી.એસ.આર. 24 - 25 અંતર્ગત દ્વારકા તાલુકાની 91 પ્રાથમિક શાળા અને 3 આશ્રમ શાળાના બાલવાટિકા અને ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોને ઠંડીની સીઝનને અનુરૂપ સ્વેટર અને પગના મોજાની એક-એક જોડીનું વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જે તબ્બકાવાર દરેક સ્કૂલને વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં શારદાપીઠના સ્વામી શ્રી નારાયણાનંદ બ્રહમચારીજી, સનાતન સેવામંડળના કેશવાનંદજી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને સંકલ્પ એનજીઓની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે સંકલ્પ એનજીઓ ટીમ અને પ્રાથમિક વિભાગના અધિકારી તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)



