જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે આશરે એક દાયકા પહેલા 'લાલપરડા કર્મચારી મંડળ' કાર્યરત બન્યું છે. મંડળનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક વિકાસનો રહેવા પામ્યો છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થી સન્માન સમારોહ, સામાન્ય જ્ઞાન પરીક્ષાનું આયોજન, શાળામાં ઘટતા શિક્ષકોની મંડળ દ્વારા પૂર્તતા કરવી, આગળ ભણવા જતા નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવી વગેરે જેવા પ્રોત્સાહક અને પરિણામલક્ષી કાર્યો મંડળ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ માટે મંડળને દાતાઓ પણ મળી રહે છે.
મંડળના સ્થાપના કાળથી દર વર્ષે યોજાતો સન્માન સમારોહ આ વર્ષે પણ તાજેતરમાં મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં ગામની ત્રણ શાળા પૈકી મુખ્ય શાળામાં ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ત્રણ ક્રમ આવનારને તથા વાડી શાળા-2 અને વાડી શાળા- 3 માં ધોરણ 3 થી 5 માં પ્રથમ ત્રણ ક્રમ આવનારને શિલ્ડ, પ્રમાણપત્ર તથા બોલપેનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓને આગળ અભ્યાસનું માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમમાં ખાસ વક્તાઓને પણ બોલાવવામાં આવે છે.
કાર્યક્રમના પ્રારંભે પ્રમુખ મુળુભાઈ ડુવા દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત બાદ જયદીપભાઈ ડુવા દ્વારા મંડળના કાર્યોનો ચિતાર આપવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં એચ.ડી.એફ.સી.બેંકના બ્રાન્ચ મેનેજર રમેશભાઈ વારોતરીયા તથા લાલપરડા પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક એલ.એમ. નિમાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વક્તાઓએ ભાવી શિક્ષણ સંદર્ભે વાલીઓ અને વિદ્યાર્થીઓને દિશા કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રોફેસર ડો. રામભાઈ વારોતરીયા દ્વારા ઉદબોધન કરી, રાજેશભાઈ વારોતરીયાએ આભાર વિધિ કરી હતી.
કાર્યક્રમમાં ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના આગેવાનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મૌલિકભાઈ મહેતાએ કર્યું હતું.
(ફોટો:- કુંજન રાડિયા)
