Saturday June 21, 2025

કૃષ્ણ ભૂમિમાં ગૌચરની જમીનો પર વ્યાપક દબાણ: ખંભાળિયામાં ગૌપ્રેમીઓ દ્વારા તંત્રને આવેદન

ગૌચરની જગ્યા પરના દબાણો દૂર કરાવવા માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૧-૨૦૨૫

  કૃષ્ણ ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ગૌચરની જમીન પર દબાણ વધી રહ્યા છે. ત્યારે હાલ અહીંનો ગૌવંશ જાણે નધણીયાતો બની રહ્યો હોય તેવા સુર વચ્ચે ખંભાળિયામાં ગૌસેવકો દ્વારા તંત્રને આ મુદ્દે સવિસ્તૃત લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં રેલી સ્વરૂપે સૂત્રોચાર સાથે ગૌચરની જમીનો ખુલ્લી કરાવવા માટેની માંગ કરાઈ છે. 
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચરની જમીન પર કરાયેલા દબાણો દૂર કરાવવા માટે આ વિસ્તારના ગૌસેવકો અને ગૌપ્રેમીઓએ એકત્ર થઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા ગૌ સેવા રક્ષા પરિવારના નેજા હેઠળ આયોજનબદ્ધ રીતે તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. અહીંના કાર્યકરોએ આજરોજ ખંભાળિયામાં સરકારી સિવિલ હોસ્પિટલ નજીક એકત્ર થઈને રેલી સ્વરૂપે અહીંના જિલ્લા કલેકટરને સંબોધીને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.
    ખંભાળિયા શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગૌપ્રેમીઓ તેમજ ધર્મપ્રેમી લોકોએ ગૌચર મુદ્દે તંત્રને પાઠવવામાં આવેલા આ પત્રમાં જણાવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય અને જેમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, તે ગૌવંશની સેવા, માવજત તેમજ સુરક્ષાએ આપણી પ્રથમ નૈતિક ફરજ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું ગૌચર અનેક ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરીને પચાવી પાડવામાં આવ્યું છે. જ્યાં આવા લોકો ખેતી પણ કરે છે. 
    આટલું જ નહીં, અનેક સ્થળોએ ખાનગી કંપનીઓ વિગેરે દ્વારા પણ આવી જમીનોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ બાબતે નીચેના તાબાના અધિકારીઓને કરવામાં આવેલી રજૂઆતો પછી પણ કોઈ નક્કર પગલાઓ લેવામાં આવ્યા નથી અને હાલ અનેક સ્થળોએ જમીન પરનું દબાણ વધતું રહ્યું છે.
      જિલ્લામાં અનેક ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જ્યાં ગૌસેવકો દ્વારા નિરાધાર અને બીમાર ગૌવંશની સેવા અને સારવાર કરવામાં આવે છે. જેથી ગૌવંશ કતલખાને જતા અટકે છે. ગૌચરની જમીનમાં કરાયેલા દબાણ સંદર્ભે અગાઉ પણ આંદોલનનો તેમજ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સ્થાનિક કચેરી એટલે આંખ આડા કાન કરવામાં આવે છે. જેના ફળ સ્વરૂપે ગૌવંશને આજે પ્લાસ્ટિક ખાવાનો વારો આવે છે અને રહેવા માટે યોગ્ય જગ્યા નથી.
    આટલું જ નહીં, ગૌવંશ હાઈવે, રોડ પર બેસવા મજબૂર બન્યા છે. જેના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતો થાય છે. જેમાં માનવજીવન તેમજ ગૌવંશના પણ મૃત્યુ થાય છે. જે બાબતને ગંભીર ગણવામાં આવી છે. 
  જો ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવામાં આવે તો ગાય માતાને પોતાના નિભાવ માટેનું ચડિયાણ ગૌચરની જમીનમાંથી મળી રહે અને રોડ પર રહેવાનો તેમજ પ્લાસ્ટિક ખાવાનો વારો ના આવે. રાજ્ય સરકાર દ્વારા ગૌચરની જમીન ઉપરના દબાણો દૂર કરવા માટે અનેક જોગવાઈઓ અમલમાં મૂકી છે અને જરૂર પડ્યે દબાણ હટાવ કામગીરી પણ કોઈ લાંબી કાયદાકીય પ્રક્રિયા વગર કરી શકાય. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણ તાત્કાલિક અસરથી દૂર કરી, તેમજ જરૂર પડ્યે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ આ પત્રમાં કરવામાં આવી છે. 
  આ ગંભીર મુદ્દે સમગ્ર જિલ્લામાંથી આશરે 400 જેટલા ગૌપ્રેમીઓ અને ગૌસેવકો ખંભાળિયામાં એકત્ર થયા હતા અને ગૌચર મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં પશુ સંસ્થાના સક્રિય કાર્યકર દેશુરભાઈ ધમા, અશોકભાઈ સોલંકી કિરણબેન સરપડિયા, સહિતના કાર્યકરોએ સંયુક્ત સહીઓ સાથે ગૌચર પરના દબાણો દૂર કરવાની માંગણી કરી અને જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top