– તા. 24 સુધી ઉમેદવારો અરજી કરી શકશે –: અલગ અલગ ત્રણ કેટેગરીમાં અપાશે પારિતોષે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજ્ય કક્ષાના દિવ્યાંગ લોકોને પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એવોર્ડ 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેમજ બીજી કેટેગરીમાં 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા ત્રીજી કેટેગરીમાં 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસનની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર્સ એમ ત્રણ કેટેગરીમાં આપવામાં આવશે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો https://talimrojgar.gujarat.gov.in/ (તાલીમ રોજગાર) વેબસાઈટથી અથવા જિલ્લા રોજગાર કચેરીમાંથી વિનામુલ્યે તા. 24 ફેબ્રુઆરી સુધીમાં મળી શકશે. ઉમેદવારોએ ભરેલા અરજી પત્રકો સાથે શૈક્ષણિક લાયકાત, દિવ્યાંગતા માટેના માન્ય પ્રમાણપત્ર, પોસ્ટકાર્ડ સાઈઝ ફોટોગ્રાફ, પોલીસ વેરીફિકેશન તથા અન્ય સંબંધિત તમામ લાગુ પડતાં દસ્તાવેજોની નકલ સહિત ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો સામેલ કરવાની રહેશે. આ મુજબની અરજી બે નકલમાં જિલ્લા રોજગાર કચેરીને તા. 24 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગત વાળી કે નિયત સમયમર્યાદા બાદની આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ.
વધુ માહિતી માટે ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં બીજા માળે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી (ફોન: 02833-234210)નો સંપર્ક કરવા રોજગાર અધિકારી (જન.)ની યાદીમાં જણાવાયું છે.