Saturday June 21, 2025

ભીલાડની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી વિશ્વ માતૃભાષા મહોત્સવ-2025 ઉજવાયો


ભીલાડ, તા.૧૮/૦૨/૨૦૨૫
માતૃભાષા મનુષ્યની અભિવ્યક્તિનું સર્વોત્તમ માધ્યમ છે. તે આંતર ચેતના સાથે જોડાયેલી હોય છે. તે માતૃભૂમિના વાતાવરણમાં જ, બાળપણમાં વિકસે છે અને જીવન સાથે તેનું જોડાણ કાયમી હોય છે. માતૃભાષા ન આવડતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એટલે વિશ્વ માતૃભાષા। દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. કોલેજના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષાનું મહત્ત્વ સમજે, પોતાનો માનસિક, સાંસ્કૃતિક સાહિત્યિક વિકાસ સાધે એ હેતુથી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ભીલાડ કોલેજના પ્રિન્સિપાલ ડો. કે. એ. ભોયેના માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ભીલાડ કોલેજમાં “માતૃભાષા મહોત્સવ- ૨૦૨૫” ઉજવાયો હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. કે. એ. ભોયે અને વક્તાઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મુકતે એકતાએ સુમધુર કંઠે ભાવવાહી લયમાં ”મળી માતૃભાષા મને ગુજરાતી” કાવ્યનું ગાન કર્યું હતું. તેમજ “મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત”કાવ્યનું સુંદર ગાન રજુ કર્યું હતું. પ્રથમ વક્તા નીલમ જાંગિડે ‘માતૃભાષ કા મર્મ ‘ વિશે હિન્દી ભાષામાં સંશોધનાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પરદેશમાં ભાષા જ આપણી ઓળખ હોય છે. માતૃભાષાનો શરમ નહિ પણ ગૌરવનો વિષય છે એમ એને અનુભવવો જોઈએ. માતૃભાષા ભાવથી નજીક હોય છે, એટલે તરત જ સમજાય જાય છે. ઉતરભારતની બધી ભાષાઓ એક પરિવારની છે. લોકનાટ્ય,લોકગીત અને કુંભમેળા જેવાં આયોજનો માતૃભાષાઓનું સંગમસ્થાન છે. લોકબોલી , લોકસાહિત્ય અને લોકનાટ્ય માતૃભાષાને બચાવી શકે છે. કાર્યક્રમમાં દ્વિતીય વક્તા પ્રા.ડો.આશાબેન ગોહિલ ‘માનવ જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ ‘ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દરેક સમાજની પોતાની એક વિશિષ્ટ ભાષા હોય છે, જેમ અનુસૂચિતજનજાતિમાં સમાવિષ્ટ આદિવાસીઓની અનેક બોલીઓ છે. માનવ જીવન માતૃભાષા વિના પાંગળું છે. માતૃભાષા છે તો જ સમાજ શક્તિ છે. કોલેજના આચાર્ય ડૉ. કે એ.ભોયેએ પોતાના વ્યક્તવ્યમાં વિશ્વમાં વિકસિત થઇ રહેલી ટેકનોલોજી સામે માતૃભાષા કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે, એવા સવાલો પૂછી, તેના ઉપાયો જણાવ્યા હતા.તેમણે જણાવ્યું કે પ્રત્યેક મનુષ્યે પોતાની માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણનો આગ્રહ રાખવો જોઈએ. કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રાધ્યાપક ચંદ્રકાંત પટેલે અને આભારવિધિ પ્રાધ્યાપક હીનાબેન પટેલે કર્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સ્વાગત પ્રવચન ડો. પ્રવીણ સલિયાએ કર્યું હતું. કાર્યક્રમમાં ૧૪ ભાઈઓ અને ૬૩ બહેનો મળી કુલ ૭૭ વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top