
પ્રવિણ પરમાર IRTS (નિવૃત્ત),
ભૂતપૂર્વ પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર,
પશ્ચિમ રેલવે
ગુજરાતને લાંબા સમયથી ઔદ્યોગિક વિસ્તરણ અને માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિઓને કારણે ભારતના વિકાસ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગસાહસિકતા અને ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, રાજ્યએ એક મજબૂત પરિવહન નેટવર્ક દ્વારા મજબૂત બનેલી સમૃદ્ધ અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. આ વર્ષનું રેલવે બજેટ ગુજરાતની માળખાગત રેલવે સુવિધાઓને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. મહત્વપૂર્ણ રોકાણોનો ઉદ્દેશ સુરક્ષા વધારવા, યાત્રીઓના અનુભવમાં સુધારો કરવા અને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવાનો છે.
રેલવે બજેટની જાહેરાતોને સહર્ષ માન્યતા અને પ્રશંસાથી આવકારવામાં આવી. આ બજેટમાં વિવિધ પરિયોજનાઓ મારફતે ભારતીય રેલવેની સુરક્ષામાં વૃદ્ધિ માટે ૪૦% ખર્ચ ફાળવવામાં આવ્યો છે. રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, રાજ્યોમાં ચાલી રહેલી વિવિધ રેલવે પરિયોજનાઓમાં ૧૭,૧૫૫ કરોડ રૂપિયાની વિક્રમજનક ફાળવણીનું રોકાણ કરવામાં આવશે.
ગુજરાતના આધુનિકીકરણના પ્રયાસોમાં રેલવે સુરક્ષા એક મુખ્ય આધારસ્તંભ રહ્યુ છે. સૌથી મહત્વપૂર્ણ પગલાંઓમાં રેલવે લેવલ ક્રોસિંગને નાબૂદ કરીને, તેમના સ્થાને રોડ ઓવર બ્રિજ (ROB) અને રોડ અંડર બ્રિજ (RUB) નો સમાવેશ કરવાનો છે. આ શરૂઆત અકસ્માતો ઘટાડે છે, વાહનોની અવરજવરને સરળ બનાવે છે અને રેલવેની કાર્યક્ષમતામાં વધારો કરે છે. છેલ્લા દસકામાં, લગભગ ૧૦૫૦ લેવલ ક્રોસિંગ્સને ROBs/RUBs થી બદલવામાં આવ્યા છે. ઉપરાંતમાં, ગુજરાતમાં બ્રોડગેજ નેટવર્ક પરના તમામ માનવરહિત લેવલ ક્રોસિંગ ૨૦૧૮ માં નાબૂદ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર રેલવેના સહયોગથી ગુજરાતને સંપૂર્ણપણે લેવલ ક્રોસિંગ મુક્ત (ફાટક-મુક્ત ગુજરાત) બનાવવા પરત્વે કાર્યરત છે. રાજ્ય સરકારે ૮૩ લેવલ ક્રોસિંગને ROB/RUB દ્વારા નાબૂદ કરવા માટે રૂ. ૧૩૭૨.૯૧ કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી ૧૧ લેવલ ક્રોસિંગને ROB/RUB દ્વારા બદલવામાં આવ્યા છે અને બાકીના, વિવિધ તબક્કા હેઠળ પ્રગતિમાં છે. આનાથી માત્ર માર્ગ ઉપયોગકર્તાઓની સલામતીમાં સુધારો થશે નહીં પરંતુ લેવલ ક્રોસિંગ પર રાહ જોવાનો સમય પણ નાબૂદ થશે, જેનાથી સમય અને બળતણ બંનેની બચત થશે. રાજ્યએ રેલવે મંત્રાલય એટલે કે ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (G-RIDE) સાથે સંયુક્ત સાહસ પણ કર્યું છે, જેણે બેડી બંદર સાથે કનેક્ટિવિટી, કટોસણ-બેચરાજી-રણુજ લાઇનનું ગેજ રૂપાંતરણ અને ઉત્પાદિત કાર લોડ કરવા માટે તથા દેશના વિવિધ ભાગો અને નિકાસ માટે બંદરો સુધી પરિવહન કરવા માટે મારૂતિ સુઝુકી કાર પ્લાન્ટ સુધી રેલવે સાઇડિંગ વિકસાવ્યું છે.
ઉપરાંતમાં, ૧૮૦૦ રૂટ કિલોમીટર (RKM) માં સ્વદેશી રીતે વિકસિત કવચ ટેકનોલોજીનો ઉપયોગનું વિસ્તારણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. આવી શરૂઆતો રેલવે સુરક્ષા માટે એક વ્યાપક અભિગમ દર્શાવે છે.
સુરક્ષા ઉપરાંત, ગુજરાતમાં યાત્રીઓ અને માલસામાન બંનેની કનેક્ટિવિટી વધારવાના હેતુથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણોના સમાવેશથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન આવી રહ્યું છે. હાલમાં, ગુજરાતના ૮૭ સ્ટેશનો પર સ્ટેશન સુવિધાઓને આધુનિક બનાવવા અને સગવડો અને સુલભતા સુધારવા માટે નવીનીકરણ ચાલી રહ્યું છે. કંડલા, મુન્દ્રા, દહેજ, હજીરા, સિક્કા, બેડી વગેરે જેવા તમામ મુખ્ય બંદરો પહેલાથી જ રેલવે સાથે જોડાયેલા છે અને જખૌ બંદરને જોડવાની યોજના પણ પ્રગતિમાં છે. માલવાહક ટ્રાફિકને વધારવા માટે રાજ્યમાં ૮ ખાનગી માલવાહક ટર્મિનલ (PFT) અને ૧૦ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) પહેલાથી જ સ્થાપિત થઈ ચુક્યા છે અને થોડા વધુને વિકસિત કરવાનું અપેક્ષિત છે. તાજેતરમાં, દેશના વિવિધ ભાગોમાં કૃષિ ઉત્પાદનોની અવરજવરને સુગમ બનાવવા અને નિકાસને પ્રોત્સાહન આપવા ઊંઝા ખાતે એક વિશિષ્ટ રેલવે કન્ટેનર ટર્મિનલ શરૂ કરવામાં આવ્યું છે.
મિશન રફ્તાર અને વેસ્ટર્ન ડેડિકેટેડ કોરિડોર (WDFC) બે નોંધપાત્ર પરિયોજનાઓ છે જે યાત્રીઓ અને માલસામાન બંનેના પરિવહન માટે ગતિ અને કાર્યક્ષમતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. મિશન રફ્તારનું લક્ષ્ય મુંબઈ – સુરત – વડોદરા – દિલ્હી અને મુંબઈ – વડોદરા – અમદાવાદ જેવા અતિ વ્યસ્તતાવાળા કોરિડોર પર ટ્રેનની ગતિ વધારવાનું છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) એક મહત્વાકાંક્ષી પરિયોજના છે જેનો ઉદ્દેશ માલસામાનના ઝડપી અને કાર્યક્ષમ પરિવહન માટે સમર્પિત ટ્રેકને સપગમ બનાવવાનો છે જેથી યાત્રીઓના રૂટ પર ભીડ ઓછી થાય. WDFC નો ૫૬૫ કિમીનો ભાગ (કુલ લંબાઈના ૩૮%) ગુજરાતમાંથી પસાર થાય છે અને હવે તે સંપૂર્ણપણે કાર્યરત છે.
આધુનિક રેલવે માળખાગત સુવિધાઓના આ વિઝનનો અભિન્ન ભાગ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, જેનું નેતૃત્વ નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન ભારતમાં હાઇ-સ્પીડ મુસાફરીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે, મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે અને પ્રાદેશિક પરિવહનના પરિદ્રશ્યમાં પરિવર્તન લાવશે. જેમજેમ આ મહત્વાકાંક્ષી પરિયોજના પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, તેમતેમ ગુજરાત અત્યાધુનિક રેલ્વે માળખાગત સુવિધાઓના કેન્દ્ર તરીકેની પોતાની પ્રતિષ્ઠાને મજબૂત કરી રહ્યું છે.
આખરે, આ પ્રગતિની સફળતાનો પ્રભાવ યાત્રીઓ પર નિહીત છે. ઝડપી શહેરીકરણને લીધે મુસાફરીની ગતિશીલતામાં ફેરફારની સાથે, રેલવેનું નાવીન્ય ટ્રેક અને સ્ટેશનોના વિસ્તરણથી આગળ વધારવાનું રહેશે – તેમાં કાર્યક્ષમ સંકલિત પરિવહન ઉકેલોને પ્રાથમિકતા આપવાની રહેશે. રાજ્યના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ્સ (MMTHs) એક એવી શરૂઆત છે જેનો ઉદ્દેશ પરિવહનના વિવિધ માધ્યમો વચ્ચે અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે. બે અગ્રણી પરિયોજનાઓ, સાબરમતી MMTH અને સુરત MMTH, એક જ સુવિધામાં રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન અને બસ સેવાઓને એકીકૃત કરીને યાત્રીઓની અવરજવરમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ડિજિટલ ટિકિટિંગ, આધુનિક પ્રતિક્ષાગૃહો અને રિટેલ સ્પેસ જેવી સુવિધાઓ યાત્રીઓના અનુભવમાં નોંધપાત્ર વધારો કરશે. આ શરૂઆતોની સાથે, ગુજરાત ભારતમાં જાહેર પરિવહનમાં શ્રેષ્ઠતા માટે એક માપદંડ બનવાના માર્ગે છે.
રાજ્યમાં ચાર વંદે ભારત ટ્રેનોની ઉપસ્થિતિ, જેમાંથી બે અતિ વ્યસ્તતાવાળા સેક્ટર ટ્રેનો મુંબઈ – ગાંધીનગર અને મુંબઈ – અમદાવાદમાં સેવા આપે છે, તે મુસાફરોની વધતી માંગને પૂર્ણ કરીને હાઇ-સ્પીડ પ્રીમિયમ યાત્રા પૂરી પાડવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. અમદાવાદ અને ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેલની શરૂઆત એ કચ્છના રણ જેવા સ્થળોએ ઝડપી અને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવીને પ્રવાસનને વેગ આપવા તરફનું એક પગલું છે.
સ્વદેશી રીતે નિર્મિત આ ટ્રેનમાં ફક્ત બિનઆરક્ષિત કોચનો સમાવેશ થાય છે અને તે સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે અને સાથે સાથે તેમાં અસંખ્ય આધુનિક યાત્રી સુવિધાઓની ભરમાર છે.
યાત્રી સુવિધાઓ ઉપરાંત, રેલવે માળખાગત સુવિધાઓના આધુનિકીકરણમાં રોકાણ રોજગારીની તકો ઉભી કરે છે, ઔદ્યોગિક વિકાસને ઉત્તેજિત કરે છે અને વેપારી પ્રવૃત્તિઓને સુગમ બનાવે છે. રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થવાથી માલસામાનની હેરફેરની કાર્યક્ષમતામાં ઘણો વધારો થયો છે – આમ ખર્ચમાં ઘટાડો થયો છે અને વ્યવસાયિકો અને રોકાણકારો માટે મુખ્ય સ્થળ તરીકે ગુજરાતનું આકર્ષણ વધ્યું છે. ઉપરાંતમાં, એકીકૃત સંકલિત પરિવહન માળખા સાથે પ્રવાસનનો પણ વિકાસ થવાનું અપેક્ષિત છે. આધુનિક રેલવે સ્ટેશનો, હાઇ-સ્પીડ કનેક્ટિવિટી અને સુવ્યવસ્થિત યાત્રા વિકલ્પો ગુજરાતને વ્યવસાય અને મનોરંજન બંને માટે પસંદગીનું સ્થળ બનાવે છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આકર્ષે છે.
ગુજરાત રેલવેનું પરિવર્તન અવિરત એકિકૃત પરિવહનના ભવિષ્ય પરત્વેની એક સ્વપ્નશીલ હરણફાળ છે. સુરક્ષા, અત્યાધુનિક માળખાગત સુવિધા અને યાત્રીઓનો અનુભવ – ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગુજરાત રાજ્ય ભારતમાં રેલવે આધુનિકીકરણ માટે એક માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. જેમ આ મહત્વાકાંક્ષી પરિયોજનાઓ આકાર પામી રહી છે તેમ, ગુજરાત સાબિત કરી રહ્યું છે કે પરિવહનમાં વ્યૂહાત્મક રોકાણો વ્યાપક આર્થિક સમૃદ્ધિ તરફ દોરી શકે છે, જે ભારતના માળખાકીય વિકાસમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. તે માત્ર રેલવે અંગે જ નથી પરંતુ તે વિકાસ વિશે છે જ્યાં કનેક્ટિવિટી અનંત સંભાવનાઓને જન્માવે છે.