
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫
ભાણવડ પંથકમાં છેલ્લા દશરથ દોડ દાયકાથી વન્યજીવ બચાવ કામગીરી માટે કાર્યરત રેસ્ક્યૂઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા સરિસૃપ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટે ભાગે લોકો સાપોથી ડરતા હોય છે, ઉપરાંત તેને પોતાનો દુશ્મન માની અને મારી પણ નાખતા હોય છે, ત્યારે અશોકભાઈ ભટ્ટ દ્વારા સાપ બચાવ કાર્ય અને સરિસૃપ માટે લોકોમાં જાગૃતિ અર્થે રેપ્ટાઇલ અવેરનેસ કાર્યક્રમો પણ યોજાય છે, જેથી ભાણવડ પંથકમાં ખેતર કે ઘરોની આસપાસ સાપ દેખાતાંની સાથે જ લોકો અશોકભાઈ ભટ્ટ અને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોનો સંપર્ક કરે છે.
ત્યારે આ વિસ્તારના ભાવેશભાઈ બોરખતરિયા દ્વારા એક ગામમાંથી ધામણ પ્રજાતિના નવેક ફૂટ લાંબા બિનઝેરી સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જે કોઈ કારણસર ઘાયલ થયો હોય તેવું જણાતા એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ દ્વારા વેટરનરી ડો.દત્ત દેસાઈ અને વિજય જોડની મદદથી આ ઘાયલ સાપની સારવાર કરી સાપને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી નવજીવન અપાયું હતું.
આ વચ્ચે અશોકભાઈ ભટ્ટ દ્વારા લોકોને આવા કોઈ સાપ કે સરિસૃપ પોતાના ઘર કે ઘરની આસપાસ નજરે ચડે તો તેને પોતાનો દુશ્મન ગણી મારવાને બદલે વનકર્મી કે કોઈ પણ રેસ્ક્યુઅરનો સંપર્ક કરી તેને રેસ્ક્યૂ કરવીને પ્રકૃતિ જતન અને સંરક્ષણ કરવા અપીલ પણ કરાઈ છે.

(ફોટો:- કુંજન રાડિયા)