જામ ખંભાળિયા, તા. ૧૪-૦૬-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ ખાતે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યમાંથી ફરવા માટે આવેલા ચાર યાત્રિકો શિવરાજપુર બીચના દરિયામાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન દરિયાના ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં તેઓ ફસાઈ જતા જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થળ પર રહેલા અન્ય યાત્રિકોએ બહાદુરી દાખવી માનવ સાંકળ બનાવી, ડૂબતા યુવાનોને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકો અને અન્ય યાત્રિકોની સમયસરની સતર્કતા અને સહયોગના કારણે ચારમાંથી ત્રણ યાત્રિકોને સલામત રીતે દરિયામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
જોકે, એક યુવક દરિયાના પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર, પોલીસ વિભાગ અને બચાવ ટીમ દ્વારા શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 12 કલાકની સતત શોધખોળ બાદ મધ્યપ્રદેશના 18 વર્ષીય પ્રશાંત ગૌર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ત્યાર બાદ મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવથી યાત્રિકો અને સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ અને યાત્રિકોને દરિયામાં ન્હાવા સમયે સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા તેમજ પ્રતિબંધિત અને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય. સાથે દ્વારકા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


