વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ તેમની નાગાલેન્ડની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપૂર્વી વિસ્તાર દેશની વિકાસ યાત્રામાં પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ઉભર્યો છે અને “ન્યૂ ઈન્ડિયા”ના વિઝનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
દિમાપુર જિલ્લામાં જાહેર કાર્યક્રમોને સંબોધતા અને નાગરિકો સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની યોજનાઓ ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓ – આ ચાર મુખ્ય સ્તંભોને કેન્દ્રમાં રાખીને અમલમાં મૂકાઈ રહી છે, જેથી સમાવેશી અને સમતોલ વિકાસ સુનિશ્ચિત થાય. તેમણે જણાવ્યું કે, પ્રદેશમાં આધુનિક સુવિધાઓ, કલ્યાણકારી યોજનાઓની અસરકારક અમલવારી અને રોજગારના અવસરોમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે તેમણે જણાવ્યું કે, આ નીતિ સર્વાંગી અને કૌશલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે, જેમાં માતૃભાષામાં શિક્ષણ, ડિજિટલ શિક્ષણ અને શાળાકીય માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા બાળકોને ભવિષ્ય માટે સજ્જ કરવામાં આવે છે.

મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ આયોઇમતિ ગામે આંગણવાડી કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને જલ જીવન મિશન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. કુડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તેમજ પદમપુખુરી ગામે સ્વસહાય જૂથોની બહેનો સાથે બેઠક યોજીને સંવાદ કર્યો હતો.દરમિયાન સ્થાનીય સરપંચ, અને કાઉન્સિલ સભ્યો સાથે પણ મંત્રીએ સંવાદ કર્યો હતો.
ખાદ્ય સુરક્ષા અંગે તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશભરમાં ૮૦ કરોડથી વધુ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, જે વિશ્વનો સૌથી મોટો ફૂડ સિક્યોરીટી કાર્યક્રમ છે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ વ્યવસ્થા દ્વારા પ્રવાસી મજૂરોને દેશના કોઈપણ ભાગમાં રાશન મેળવવાની સુવિધા મળી રહી છે.
મંત્રીએ આ અવસર પર જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર આપ્યો છે, ત્યારે નાગાલેન્ડના સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોત્સાહિત કરવા તથા ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે લક્ષપતિ દીદી પહેલની પ્રગતિનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.
જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને રાજ્યમંત્રીએ કેન્દ્ર સરકારની યોજનાઓની અમલવારીનું મૂલ્યાંકન કર્યું અને પૂર્વોત્તરરાજ્યોના સમાવેશી તથા સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
