Headlines

ભાવનગર જીલ્લાના પીપરાળા ગામે થયેલી હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદની સજા અદાલતે ફટકારી

વિપુલ હિરાણી 

ભાવનગર તા. ૯

દોઢ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઈ ઉપર જ તલવાર સહિતના હથીયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચી મોત નિપજાવી નાખતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ની અદાલતમાં ચાલી જતા અદાલતે  આ હત્યા કેસમાં સંડોવાયેલા પિતા-પુત્ર સામે ગુનો સાબીત માની બંન્ને ને આજીવન કેદની સજા અને રોકડ રૂા. ૧૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો છે.

આ બનાવની  વિગતો મુજબ ઘોઘા તાલુકાના પીપરલા ગામે રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા ઉ.વ.૫૫ ના ગત તા. ૨૮/૭/૨૦૨૪ ના રોજ દુધ ભરીને બાઈક પર પરત આવતા હતા ત્યારે ગામના જ મેહુલ નાનુભાઈ બારૈયા તથા તેના પિતા નાનુભાઈ બચુભાઈ બારૈયા પીપરળા ગામે નિશાળ પાસે આવી વેલજીભાઈને અટકાવી બંન્ને એ આડેધડ તલવારના ઘા મારી માથુ છુંદી નાખી હત્યા કરી નાસી ગયેલ હતા આ અંગે મરણજનાર વેલજીભાઈ ના ભાઈએ ફરીયાદ નોંધાવતા ઘોઘા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

ઘોઘા પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી કે, આરોપી પિતા-પુત્ર એ મરણજનાર વેલજીભાઈની જમીનમાં બકરા ચકાવ્યા હતા તેમજ નીલગીરીનું ઝાડ કાપી નાખ્યુ હતુ જે બાબતે ઠપકો આપતા બંન્ને અવાર નવાર ગાળો આપી ઝઘડો કરતા હતા દરમ્યાન તા. ૨૮/૭/૨૦૨૪ ના રોજ તલવારથી તેની હત્યા કરી નાખી હતી. આ મતલબની પોલીસ ફરીયાદ ધોધા પોલીસ મથકમાં નોંધાઈ હતી

આ અંગેનો કેસ ભાવનગર ના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એસ.મુળીયા ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ આર. જોષી તથા મુળ ફરીયાદી તરફે વકીલ નિતીન જી. નાગર ની લેખીત તથા મૌખીક દલીલો, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની વિગેરે ધ્યાને લઈ આરોપીઓને કસુરવાન ઠરાવી આરોપી મેહુલ નાનુભાઇ બારૈયા તથા આરોપી નાનુભાઇ બચુભાઇ બારૈયા ને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂા. ૧૦ હજાર નો દંડ અદાલતે ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *