Video Courtesy: Unknown
પોલીસ અધિકારીની નોકરી ઠુકરાવી સાદગીનો માર્ગ અપનાવનાર ૮૧ વર્ષીય ‘રૈયા દાદા’એ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા; ૩ એપ્રિલે ઉત્તરકારજ
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ગુજરાત રાજ્યના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા આઠ દાયકાથી ગામના સામાજિક અને નૈતિક ઘડતરમાં પાયાનો પથ્થર બનેલા અને અનુગાંધીયુગની જીવંત કડી સમાન ગાંધીવાદી સમાજસેવક રૈયાભાઈ મીઠાભાઈ જેઠવાએ સોમવારે વહેલી સવારે ૦૬:૦૦ કલાકે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. ૮૧ વર્ષની વયે થયેલું તેમનું અવસાન માત્ર જેઠવા પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર નવા રતનપર અને આસપાસના પંથક માટે એક મોટી ખોટ સમાન છે.
અનુગાંધીયુગના સંસ્કારો અને આદર્શ જીવન
રૈયાભાઈ જેઠવાનો જન્મ એક એવા સમયગાળામાં થયો હતો જ્યારે દેશ આઝાદીના ઉંબરે હતો. તેમણે બાળપણમાં પૂજ્ય ગાંધીજીના વિચારો અને તે સમયની સામાજિક ક્રાંતિની અસરોને પ્રત્યક્ષ રીતે અનુભવી હતી. આ સંસ્કારો તેમના લોહીમાં વણાયેલા હતા. તેઓ તે જમાનાના એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ હતા. તેમની યોગ્યતા એટલી હતી કે તેમને પોલીસ અધિકારી તરીકેની પ્રતિષ્ઠિત નોકરીની ઓફર પણ મળી હતી. જોકે, સત્તા અને પદના મોહને ત્યાગીને તેમણે ગાંધીવાદી વિચારધારા મુજબ લોકસેવા અને સાદગીનો માર્ગ પસંદ કર્યો હતો. આ નિર્ણય તેમની નિર્મોહી અને દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રમાણ હતું.
બહુમુખી પ્રતિભા: ખેતીથી લઈને ટેલરિંગ સુધીના માસ્ટર
રૈયાભાઈ માત્ર વિચારોથી જ નહીં, પરંતુ કર્મથી પણ એટલા જ કુશળ હતા. તેઓ ખેતીકામના ઊંડા જાણકાર હોવાની સાથે ટેલરિંગના પણ માસ્ટર ગણાતા હતા. એક સમયે નવા રતનપર સહિત આસપાસના ૨૫ જેટલા ગામોમાં તેમનો કપડાનો વ્યવસાય ખૂબ જ ધમધમતો હતો. તેમની પ્રમાણિકતા અને કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે લોકો દૂર-દૂરથી તેમની પાસે આવતા હતા. તેઓ ધાર્મિક ગ્રંથોના જેટલા જ્ઞાતા હતા, તેટલા જ આધુનિક સમયના સમાચારો અને વૈશ્વિક ઘટનાઓથી પણ અપડેટ રહેતા હતા.
સેવાનું અવિરત ઝરણું: ‘પાણીની પરબ’નો સંકલ્પ
નિવૃત્ત જીવનમાં પણ રૈયાભાઈ ક્યારેય ખાલી બેસી રહ્યા નહોતા. તેમની સમાજસેવા કોઈ મોટા મંચની મહોતાજ નહોતી. નવા રતનપરના પાટ તળાવ પાસે આવેલી પાણીની પરબનો ગોળો તેઓ સ્વયં ભરતા હતા, જેથી વટેમાર્ગુઓ તરસ છિપાવી શકે. એક ૮૧ વર્ષના વડીલ દ્વારા કરવામાં આવતું આ નાનું પણ પવિત્ર કાર્ય ગામના યુવાનો માટે પ્રેરણારૂપ હતું.
બીમારી અને અંતિમ ક્ષણો
તેમના નાના પુત્ર પ્રાગજીભાઈ જેઠવાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, “અંતિમ ક્ષણોમાં તેમણે કશું જણાવ્યું નથી. પિતાજી છેલ્લા ૧૫ દિવસથી ફેફસાની ગંભીર તકલીફથી પીડાતા હતા. તેમની તબિયત લથડતાં તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી તેઓ માત્ર પ્રવાહી અને દૂધ પર હતા. હોસ્પિટલના બિછાને તેમની વાચા મૌન થઈ ગઈ હતી અને આજે સવારે 6:00 વાગ્યે તેમણે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો.” મૃત્યુના સચોટ કારણની ખાતરી કરવા માટે તેમની ઓટોપ્સી પણ કરાવવામાં આવી હતી, ત્યારબાદ તેમના દેહને વતન નવા રતનપર લાવવામાં આવ્યો હતો.
અશ્રુભીની વિદાય અને શ્રદ્ધાંજલિ
રૈયાભાઈની અંતિમયાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું. સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન નવા રતનપર સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ પોતાની પાછળ પત્ની વાલીબેન, જ્યેષ્ઠ પુત્ર ઝવેરભાઈ જેઠવા, નાના પુત્ર પ્રાગજીભાઈ જેઠવા અને પૌત્ર ઊર્મિક પ્રાગજીભાઈ જેઠવા સહિતના વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.
સ્થાનિક પત્રકાર નારન બારૈયાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “રૈયા દાદાની વિદાય એ મારા માટે પિતૃછાયા ગુમાવવા જેવું છે. હું તેમના આંગણે રમીને મોટો થયો છું. તેઓ અવારનવાર ‘બુબુ વર્લ્ડ’માં આવીને મારી અને બુબૂની ખબર અંતર પૂછતા હતા. તેમની નિષ્કપટતા અને પિતા સમાન પ્રેમ કાયમ માટે યાદ રહેશે. મોટા માણસ બનવું તો સહેલું છે પરંતુ સામાન્ય અને સરળ માણસ બનવું અઘરું છે અને આ અઘરું કામ રૈયા દાદાએ સહેલાઈથી જીવી બતાવ્યું તે બાબત તેમની પાસેથી શીખવા જેવી સૌથી મોટી બાબત હતી.”
રૈયા દાદાનો જેમની સાથે નિકટનો નાતો રહ્યો હતો એવા સ્થાનિક વૈદ્ય ડો. યોગેશ અગ્રાવતે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે “રૈયા દાદા એક બહુ જ સાચુકલા માણસ હતા. તેમની નિખાલસતા અને સેવા તેમજ આપણા ઉપરનો તેમનો અખૂટ વિશ્વાસ ક્યારેય ભુલાય તેવો નથી. અમારે ત્યાં તેઓ દર્દીના પીવાના પાણીની હંમેશા ઉત્સાહપૂર્વક વ્યવસ્થા કરતા અને દર્દીઓના માટલાનું જળ તેમણે ક્યારેય ખુંટવા દીધું નથી. એમનું પોતાનું “જીવન જળ” ખૂટી ગયું તે દુઃખની વાત છે. પરંતુ દર્દીઓની સેવા માટે હંમેશા પોતાનાથી થાય તે બધું જ કરી છૂટવાની ભાવના ધરાવતા રૈયા દાદાની સેવાની ઈશ્વરને પણ જરૂર હશે !”
ઉલ્લેખનીય છે કે રૈયાભાઈ જેઠવાનું ઉત્તરકારજ આગામી તારીખ ૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ નવા રતનપર ખાતે રાખવામાં આવ્યું છે. એક સાચા ગાંધીવાદી અને કર્મયોગીની વિદાયથી નવા રતનપરના આકાશમાંથી એક તેજસ્વી તારો આથમી ગયો છે. માત્ર નવારતનપર જ નહીં, આસપાસ, ચોપાસના અનેક ગામોમાં તેમની વિદાયનો રંજ છે.
