ખંભાળિયા-ભાતેલ સેક્શનના આરએચ ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬
ખંભાળિયા-ભાતેલ રેલવે સેક્શનના લેવલ ક્રોસિંગ નં. 235 પર રોડ અંડર બ્રિજ નિર્માણ અંતર્ગત આરએચ ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કાર્ય તાજેતરમાં પૂર્ણ કરી, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ માળખાગત કાર્ય 30 એપ્રિલના રોજ સિંગલ લાઇન પર આયોજિત માત્ર ત્રણ કલાકના ટ્રાફિક બ્લોક દરમિયાન કુશળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું. કાર્ય દરમિયાન તમામ આવશ્યક સુરક્ષા માપદંડોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, જેનાથી ટ્રાફિક સંચાલન પર લઘુત્તમ અસર પડી હતી. આ કાર્યના અમલીકરણમાં 600 ટનની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી ગર્ડર લોન્ચિંગ અત્યંત ચોકસાઈ અને સુરક્ષિત રીતે કરી શકાયું હતું.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ એન્જિનિયર (વેસ્ટ) ઋષભસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર (વેસ્ટ), જામનગરના સંજીવ કુમાર તથા તેમની 40 જેટલા સભ્યોની ટીમ દ્વારા આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યની સમયસર અને સફળ પૂર્ણાહુતિ રાજકોટ ડિવિઝનની તકનીકી કાર્યક્ષમતા, સુનિયોજિત કાર્યપદ્ધતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
આ ઉપલબ્ધિ આ વ્યસ્ત રેલવે સેક્શન પર સુરક્ષા વધારવા તથા રેલ અને રોડ ટ્રાફિકને વધુ સુગમ અને અવરોધરહિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. એલસી-235 ના નાબૂદીથી માત્ર અકસ્માતોની શક્યતામાં ઘટાડો થશે એટલું જ નહીં, પરંતુ ટ્રેનોની સમયપાલનતામાં પણ સુધારો થશે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્થાનિક જનતાને વ્યાપક લાભ મળશે, જેનાથી માર્ગ વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનશે. સાથે જ, રેલવેના પરિચાલનમાં કાર્યક્ષમતા અને ગતિમાં વધારો સુનિશ્ચિત થશે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા મુજબ, “રાજકોટ ડિવિઝન રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સતત પ્રતિબદ્ધ છે, જેથી મુસાફરોને બહેતર, સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડી શકાય. એલસી-235 પર આ સિદ્ધિ તે દિશામાં એક મહત્વપૂર્ણ અને સશક્ત પગલું છે.”





