શંભુ સિંહ, ભાવનગર
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક અવસંરચના વિકાસના હેતુસર વ્યાપક સ્તરે પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ કાર્યો પૂર્ણ થયા બાદ જેતલસર જંક્શન એક આધુનિક, સુગમ, સુરક્ષિત અને મુસાફરમૈત્રી રેલવે સ્ટેશન તરીકે નવી ઓળખ સ્થાપિત કરશે.
તા. 19 મે 2026 (મંગળવાર)ના રોજ જેતલસરના પ્રતિનિધિઓ સાથે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા અને સંબંધિત શાખા અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જેતલસર સ્ટેશન સંબંધિત વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જણાવાયું હતું કે જેતલસર જંક્શનને પ્રતિષ્ઠિત અમૃત ભારત સ્ટેશન સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યોને પ્રાથમિકતા આધારે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
બેઠકમાં વધુમાં માહિતી આપવામાં આવી કે જેતલસર સ્ટેશન માટે મોબાઇલ એઆરટી (Accident Relief Train)ને મંજૂરી મળી ગઈ છે અને અહીં નવું ટીઆરડી (Traction Distribution) ડેપો સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રેલ સંચાલન અને જાળવણી વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
પૂર્વે લોબી સ્થળાંતર અંગે ફેલાયેલી ગેરસમજો દૂર કરતાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે રેલવે લોબી જેતલસર સ્ટેશન પર યથાવત્ ચાલુ રહેશે. ભવિષ્યમાં અહીં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરીને તેને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે.
સ્ટેશન પુનર્વિકાસ યોજના અંતર્ગત સ્ટેશન પરિસરની સુંદરતા વધારવા, વિસ્તૃત પાર્કિંગ વિસ્તાર, આધુનિક આગમન અને પ્રસ્થાન પ્લાઝા, અદ્યતન પ્રકાશ વ્યવસ્થા, પ્લેટફોર્મ પર વિશાળ શેડ, સ્વચ્છ અને દિવ્યાંગજનમૈત્રી શૌચાલય, પીવાના પાણીના બુથ અને વોટર કૂલર જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સ્ટેશન બિલ્ડિંગ નજીક મુસાફરો અને રેલવે કર્મચારીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
યાત્રિયોની સુરક્ષિત અને સરળ અવરજવર માટે પ્લેટફોર્મ નં. 2/3 અને 4/5ને જોડતો નવો ફૂટ ઓવર બ્રિજ (FOB) માર્ચ 2026માં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. આ માળખું પ્લેટફોર્મ વચ્ચેની અવરજવરને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવી રહ્યું છે.
સ્ટેશન પર લિફ્ટ સુવિધાનું કામ અંતિમ તબક્કામાં છે. વિદ્યુત વિભાગ દ્વારા જરૂરી નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને પરીક્ષણ તથા પ્રમાણન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેને યાત્રિયો માટે સમર્પિત કરવામાં આવશે. આથી વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગજન યાત્રિયોને વિશેષ લાભ મળશે.
યાત્રિયોને ટ્રેનોની માહિતી ઝડપી રીતે ઉપલબ્ધ કરાવવા માટે ઇલેક્ટ્રોનિક કોચ ઇન્ડિકેશન બોર્ડની સ્થાપનાનું કામ જૂન 2026 સુધી પૂર્ણ કરવામાં આવશે. પ્લેટફોર્મ નં. 3 અને 4/5ના વિસ્તરણનું કામ માર્ચ 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સ્ટેશન પર આધુનિક CCTV કેમેરાની સ્થાપનાનું કામ પણ અંતિમ તબક્કામાં છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ સશક્ત બનશે.
જળ પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નવો ઓવરહેડ વોટર ટેન્ક મે 2026માં પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, 150 લિટર ક્ષમતા ધરાવતા આધુનિક વોટર કૂલરની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધારાની મુસાફર સુવિધાઓ અને જાળવણી કાર્યો માટે નવા મકાનો અને સ્ટોર્સના નિર્માણની પ્રક્રિયા પણ પ્રગતિ પર છે.
દૃષ્ટિબાધિત યાત્રિયોની સુવિધા માટે ટેક્ટાઇલ ગાઇડ પાથનું કામ માર્ચ 2026માં પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના કારણે તેમને સ્ટેશન પરિસરમાં સુરક્ષિત અને સ્વતંત્ર રીતે માર્ગદર્શન મળી શકે છે.
જેતલસર જંક્શન પર ચાલી રહેલા આ તમામ વિકાસ કાર્યો ભારતીય રેલની યાત્રી સુવિધા, સંરક્ષા, સુરક્ષા, સમાનતા અને આધુનિકતા પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ યોજનાઓ પૂર્ણ થયા બાદ મુસાફરોને મહાનગરોના આધુનિક રેલવે સ્ટેશનો સમકક્ષ સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે તેમની મુસાફરી વધુ આરામદાયક, સુરક્ષિત અને સુખદ બનશે.
