ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના છેવાડાના વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા તદ્દન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગૌસેવા, માનવસેવા અને જીવદયાના ધ્યેય સાથે સતત કાર્યરત સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવા અર્થે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના પવિત્ર અને શુભ દિવસે ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારો અને નાના નિર્દોષ બાળકોને ચારસોથી વધુ અલ્પાહારના પેકેટો અર્પણ કરવામાં આવ્યા હતા, જેથી વરસાદની આ આપત્તિમાં તેમને થોડી રાહત અને મદદ મળી રહે.
આ સેવાકાર્યને વેગ આપવા અને વ્યાપક બનાવવા માટે સંસ્થાના સભ્યો દ્વારા ભાવનગરની ગૌશાળાઓની પણ સઘન મુલાકાત લેવામાં આવી રહી છે. ગુરુપૂર્ણિમાના દિવસે રાજુભાઈ ગોહિલ, કૌશિકભાઈ, વિક્રમસિંહ ગોહિલ, સુનીલભાઈ શ્રીવાસ્તવ, પીઠાબાપુ અને રવિ સિંહા સહિતના ટ્રસ્ટના આગેવાનો તથા સભ્યો સાથે મળીને વૃંદાવન ગૌશાળા અને અનેવાડા ગૌશાળા ખાતે પહોંચ્યા હતા. આ ગૌશાળાઓમાં પાંચસોથી વધુ નિરાધાર ગૌમાતાઓ અને ગૌવંશો નિવાસ કરી રહ્યા છે, જેમને ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે લીલો ઘાસચારો અર્પણ કરીને પૂજન અને સેવા કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર ગૌમાતાના અંગોમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ રહેલો છે અને ગૌસેવાથી માનવ જીવન ધન્ય બને છે તે ભાવના સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.
વરસાદની વર્તમાન સ્થિતિમાં ગૌમાતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતા આ સત્કાર્યો અવિરત ચાલુ રહે તેવા ઉદ્દેશ્યથી દાતાઓ દ્વારા પણ ઉદારમને સહયોગ આપવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના એડવોકેટ રવિ સિંહા દ્વારા પણ ગૌસેવા અને બાળકોના નાસ્તા માટે આર્થિક અનુદાન મોકલીને આ સેવા યજ્ઞમાં વિશેષ સહયોગ આપવામાં આવ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓ અને તમામ કાર્યકરો દ્વારા દાન આપનાર તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ આ સેવાકાર્ય વધુ વ્યાપક સ્તરે ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
