આરોપી નારણ પોસ્તરિયા પાસે ગુનાની કબુલાત મેળવવા, હથિયારો કઢાવવા માટે ભટ્ટ અને અન્ય પોલીસવાળાઓએ માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યાની ફરિયાદ થઈ હતી
1997 માં આરોપી તરીકે ઝડપાયેલા નારણ અને તેના પુત્ર તેમજ ભાઈને આઇપીએસ ભટ્ટે અન્ય એક પોલીસ અધિકારી સાથે મળી માર માર્યો હોવાનો પણ આક્ષેપ હતો
પોરબંદર
પોરબંદર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચોથા અધિક સિનિયર સિવિલ જજ મુકેશ પંડયાએ શંકાનો લાભ આપીને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા છે. 1997 માં આરોપી તરીકે ઝડપાયેલા નારણ જાદવ પોસ્તરિયા અને તેના પુત્ર તેમજ ભાઈ ને આઇપીએસ સંજીવ ભટ્ટે અન્ય એક પોલીસ અધિકારી સાથે મળીને માર માર્યો હોવાની અને પોલીસ કસ્ટડી દરમિયાન તેને ગુનાની કબુલાત કરાવવા માટે ઈલેક્ટ્રીક શોક પણ આપ્યા હોવાની ફરિયાદને લઈને 2023 માં કેસ ઓન બોર્ડ થયા બાદ કેસ ચાલી જતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ જાહેર થયા છે.
કાનૂની સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા. 5/7/1997ના રોજ સંજીવ ભટ્ટ અને વજુ ચાઉ સામે ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયા અને તેના પુત્ર અને ભાઈ ને પોલીસ કસ્ટડીમા માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યાની ફરિયાદ થઈ હતી. ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયાએ સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયાએ સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીને એસપી બંગલે લઈ જવાયા અને ત્યારબાદ અમુક અમુક જગ્યાએ લઈ જઈને પોલીસ કસ્ટડીમાં ગુનો કબૂલ આવવા માટે પ્રથમ માર માર્યાની અને ત્યારબાદ ઈલેક્ટ્રીક શોક આપ્યાની વિગતવાર ફરિયાદ અદાલત દ્વારા નોંધવામાં આવી હતી. કાનૂની સુત્રો અનુસાર 2023 માં અદાલત કાર્યવાહી પુરજોશમાં શરૂ થયા બાદ આખરે પૂર્વા આઇપીએસ સંજીવ ભટ્ટને અદાલતે નિર્દોષ છોડ્યા છે. કાનૂની સુત્રો અનુસાર ફરિયાદ પક્ષ પોતાની ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. વિવિધ બયાનો એકબીજાને ક્રોસ કરતા હતા. એટલું જ નહીં જો કસ્ટડીમાં ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો હોય તો મેડિકલ આધાર પણ તેનો પુરાવો બને છે પરંતુ ડોક્ટરોએ પોતાના મેડિકલ અભિપ્રાયમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે જે પ્રકારના સીમ્પટમ ઈલેક્ટ્રીક શોક ના કેસમાં જોવા મળેતા હોય છે તે પ્રકારના કેસમાં જોવા મળતા નથી. આ મુખ્ય બાબત અને તેને સંયોગીકરણ અન્ય અનેક બાબતને ધ્યાનમાં લઈને અદાલતે પૂર્વા આઇપીએસ સંજીવ ભટ્ટને નિર્દોષ છોડ્યા છે.
ફરિયાદમાં શું કહેવાયું હતું?
પૂર્વ આઇપીએસ સામેની ફરિયાદમાં કહેવાયું હતું કે ફરીયાદીને તા.૦૫-૦૭-૯૭ ના રોજ ફરીયાદીને સાબરમતી જેલ માંથી દિવસે ૧૧ વાગ્યે પોરબંદર પોલીસના માણસો જીપમાં બેસાડી લાવેલ અને રાત્રે નવ વાગ્યે આરોપી સંજીવ ભટ્ટ, ડી.એસ.પી.ના રહેઠાણે લઈ ગયેલા, તેમજ ત્યાંથી ડી.એસ.પી.ની ઓફીસે ફરીયાદી નારણ જાદવભાઈ પોસ્તરીયાને લઈ ગયેલા ત્યાં આ કામના આરોપી નં.ર વજુભાઈ ચાંઉ અને એક પોલીસવાળા હતા. ત્યાં ફરીયાદી નારણ જાદવભાઈને એલ.સી.બી. ઓફીસમાં બેસાડી રાખેલ. ત્યારબાદ આરોપી સંજીવ ભટ્ટ આવેલ અને આરોપી વજુભાઈ ચાંઉને શોક આપવા ઓર્ડર આપેલ. ત્યાં ફરીયાદીને જીપમાં ઉપર ઈલેકટ્રીક શોક આપેલ. તેમજ ફરીયાદી પાસેથી હથિયાર માંગેલા તે વખતે આરોપી ચાઉ અને બીજા પોલીસવાળા હતા. ફરીયાદી પાસે હથિયાર ન હોવાના કારણ ફરીયાદીનું પેન્ટ ઉતારી તેને દોઢ કલાક સુધી જીભ, છાતી, મોઢામાં તથા ગુપ્ત ભાગની ઈન્દીય ઉપર ઈલેકટ્રીક શોક આપેલ. ત્યારબાદ ફરીયાદીના છોકરા ચેતન નારણ પોસ્તરીયા તથા ફરીયાદીના ભાઈ ધનજીભાઈ જાદવકભાઈ પોસ્તરીયાને લઈ આવેલા અને ફરીયાદીના છોકરાને ગુપ્ત ભાગે ઈલેકટ્રીક શોક આપેલ અને કહેલ કે, તારા બાપને કહે કે હથિયાર આપે. ત્યારબાદ ફરીયાદી તથા સાહેદ ધનજીભાઈને બીજી ઓફીસમાં લઈ ગયેલા અને ત્યાં ફરીયાદીના છોકરા ચેતનને શોક આપવાનું ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી અને શોક આપવા બાબતે કાર્યવાહી કરશો તો ફરીયાદીના છોકરા ચેતનને મારી નાખવાની અને કેસ કરવાની ધમકી આપેલ.જે અંગેની ફરીયાદીએ ફરીયાદ તા.૬-૭-૧૯૯૭ના રોજ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પોરબંદર સમક્ષ તેઓને પોરબંદર સીટી બી. ડીવીઝન (કમલાબાગ) પોલીસ સ્ટેશન ગુના રજી. નં. ફસ્ટ ૪૩/૯૪ ઈ.પી.કો. કલમ-૧૨૧ વિગેરે મુજબના ગુનાના કામે તપાસ કરનાર અમલદાર દવાર। અદાલતમાં રજુ કરતા કરેલ. જે ફરીયાદીને ઈન્કવાયરી રજીસ્ટર નોધવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
અદાલતે હુકમમાં શું કહ્યું?
અદાલતે પોતાના ચુકાદામાં મુખ્ય બે બાબતનો હુકમ કર્યો છે: (1) આરોપીને ઈ.પી.કો. કલમ-૩૨૬,૩૩૦,૩૪ મુજબ હેઠળના શિક્ષાપાત્ર ગુન્હામાં ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-ર૪૮(૧) અન્વયે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે. (2) હાલના આરોપી અન્ય ગુનાના કામે સજા ભોગવી રહેલ હોઇ અપીલ સમય સુધીના જામીન લેવાનો હુકમ કરવામાં આવતો નથી. મતલબ કે હુકમ કરવામાં આવતો નથી એમ કહેવું એ પણ એક હુકમ છે. ઉલ્લેખનીય છે કે અદાલતે હુકમ નથી કરવામાં આવતો તે અંગેના હુકમમાં “હોઇ”ના સ્થાને “હોય” લખ્યું છે. તે અંગે ભાષાવિદો આશ્ચર્યચકિત છે