Saturday June 21, 2025

રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સંબંધે હથિયારબંધી

રાજકોટ
આગામી દિવસોમાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારોની ઉજવણી થનાર છે, તેમજ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો-સંગઠનો દ્વારા આંદોલનો, રેલી-ધરણા જેવા કાર્યક્રમો અપાતા હોય છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું જારી કર્યું છે.
જે મુજબ, હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી અથવા લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઈ પણ સાધન લઈને ફરવું નહીં. કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળા વિગેરે પદાર્થો લઈ જવા, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા શસ્ત્રો ફેંકવા કે નાખવાના યંત્રો સાથે લઈ જવા, સરઘસમાં પેટાવેલી મશાલો લઈ જવા, મનુષ્ય, તેના શબ, આકૃતિઓ અથવા પુતળા દેખાડવા કે બાળવા, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની તેમજ જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા અન્ય પદાર્થ દેખાડવાથી કે ફેલાવો કરવાથી સુરૂચિનો કે નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની, તેનો ફેલાવો કરવાની મનાઈ છે.
આ હુકમો સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઇ પણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો અથવા અશક્તો કે જેને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સત્તાધિકારીશ્રી તરફથી જેણે પરવાનગી મેળવેલી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તાર સિવાય સમગ્ર રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં લાગુ પડશે. આ આદેશોનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top